નવજીવન ન્યૂઝ. ચંડીગઢ: પંજાબમાં લગભગ 2 લાખ દલિત વિદ્યાર્થીઓએ તેમનો કોલેજનો અભ્યાસ છોડી દીધો કારણ કે પંજાબ સરકારે તેમની રૂ. 2,000 કરોડની શિષ્યવૃત્તિ કોલેજોને ચૂકવી નથી. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે બુધવારે કહ્યું કે રાજ્ય સરકારને આ અંગે 7 દિવસમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.
રાષ્ટ્રીય આયોગ (NCSC) એ બુધવારે જણાવ્યું હતું કે પંજાબ સરકાર દ્વારા શિષ્યવૃત્તિ યોજના હેઠળ આશરે રૂ. 2,000 કરોડની બાકી ચૂકવણી ન થવાને કારણે અનુસૂચિત જાતિ શ્રેણીના લગભગ બે લાખ વિદ્યાર્થીઓએ કોલેજ છોડી દીધી છે અને અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ગયા અઠવાડિયે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં કથિત ગેરરીતિઓની વ્યાપક તપાસના આદેશ આપ્યા હતા. આ કથિત ગેરરીતિ રાજ્યમાં અગાઉની કોંગ્રેસ સરકાર દરમિયાન સામે આવી હતી.
એનસીએસસીના પ્રમુખ વિજય સાંપલાએ પત્રકારોને જણાવ્યું હતું કે કમિશને રાજ્ય સરકાર પાસેથી સ્પષ્ટતા માંગી છે કે કેન્દ્ર દ્વારા બાકી ચૂકવણી કરવા છતાં કોલેજોને શા માટે નાણાં ચૂકવવામાં આવ્યા નથી. તેમણે કહ્યું, “અમે આ બાબતની જાતે જ નોંધ લીધી છે. એવી ઘણી ફરિયાદો છે કે એસસી સમુદાયના વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રવેશ આપવામાં આવતો નથી કારણ કે સરકારે તેમની ફી જમા કરાવી નથી. સાંપલાએ જણાવ્યું હતું કે, “2017માં આશરે ત્રણ લાખ વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળ્યો હતો અને 2020માં આ સંખ્યા ઘટીને એક લાખથી 1.25 લાખની વચ્ચે રહી ગઈ છે. જ્યારે અમે રાજ્ય સરકારને પૂછ્યું ત્યારે તેણે જણાવ્યું કે આ વિદ્યાર્થીઓએ તેમનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો છે. સાંપલાએ કહ્યું કે સોમવારે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય અને પંજાબ સરકારના અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. તેમણે કહ્યું, “બેઠકમાં તે ધ્યાન પર આવ્યું છે કે કેન્દ્ર સરકાર પાસે કંઈપણ બાકી નથી જ્યારે રાજ્ય સરકારે આ કોલેજોને બે હજાર કરોડ રૂપિયાની લેણી ચૂકવણી કરવાની છે. બાકી રકમ ક્યાં ગઈ? સાંપલાએ કહ્યું કે પંજાબ સરકારને આગામી બુધવાર સુધીમાં ખુલાસો આપવા માટે કહેવામાં આવ્યું છે.








