Education minister on schools: જય અમિન (નવજીવન ન્યૂઝ.અરવલ્લી): હિંમતનગર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં ગુજરાત સરકારના કેબિનેટ શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન શિક્ષણ અને શિક્ષકોને લગતા વિવિધ મુદ્દાઓ અંગે પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપતા તેમણે સરકારના વલણ અંગે સ્પષ્ટતા કરી હતી. જોકે હાલની સ્થિતિએ મોટા ભાગની સ્કૂલોમાં પાઠ્ય પુસ્તકોની બુમરાણ મચી છે. ગરીબોને અહીં સ્થિતિ એવી છે કે બાળકોને પીડીએફથી ભણાવવા કેવી રીતે. ઘણી શાળાઓમાં પણ પીડીએફથી બાળકો ભણી રહ્યા છે. પુસ્તકો ક્યારે મળશે? એક્ઝામ પેપર પરીક્ષા પહેલા ફૂટીને તુરંત મળી જાય, પાઠ્ય પુસ્તકો મળતા નથી તેવી સ્થિતિ છે હાલ આપણી.
શિક્ષણમંત્રીને 1 એપ્રિલ 2005 પહેલાં નિમણૂક પામેલા શિક્ષકો માટે જૂની પેન્શન યોજના અમલમાં મૂકવાના મુદ્દે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. સમાધાન થયા છતાં અમલ ન થતા અને નિવૃત્ત શિક્ષકોને પેન્શન ન મળતી હોવાના પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું કે શિક્ષકો વિકસિત ભારતના પાયાની આધારશીલા છે અને શિક્ષકો સરકારના પરિવારનો મહત્વપૂર્ણ હિસ્સો છે. તેમણે દાવો કર્યો હતો કે શિક્ષકોની કોઈપણ સમસ્યાના નિરાકરણ માટે રાજ્ય સરકાર સંવેદનશીલ અને પ્રયત્નશીલ છે.
રાજ્યમાં શિક્ષકોની ઘટ અંગે પૂછવામાં આવતા પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે નિયમિત 11 હજાર શિક્ષકોની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું કે જ્યાં સુધી નિયમિત ભરતી પ્રક્રિયા પૂર્ણ નહીં થાય ત્યાં સુધી જ્ઞાન સહાયકની ભરતી ચાલુ રાખવામાં આવશે. રાજ્યમાં શિક્ષકોની ઘટ ટૂંક સમયમાં દૂર કરવાની દિશામાં સરકાર કામગીરી કરી રહી હોવાનું તેમણે જણાવ્યું.
આ ઉપરાંત શાળાઓ શરૂ થયાને એક સપ્તાહ જેટલો સમય વીતી ગયો હોવા છતાં કેટલાક વિષયોના પાઠ્યપુસ્તકો વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યા ન હોવાના પ્રશ્નના જવાબમાં શિક્ષણમંત્રીએ જણાવ્યું કે મોટાભાગની શાળાઓમાં પુસ્તકોનું વિતરણ પૂર્ણ થઈ ગયું છે અને જ્યાં હજુ સુધી પુસ્તકો પહોંચ્યા નથી ત્યાં વિતરણની પ્રક્રિયા ચાલુ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે બાકીના વિદ્યાર્થીઓને પણ ટૂંક સમયમાં પુસ્તકો મળી જશે.
વિદ્યાર્થીઓના અભ્યાસને અસર ન થાય તે માટે રાજ્ય સરકારે ઓનલાઈન પાઠ્યપુસ્તકોની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવી હોવાનું તેમણે જણાવ્યું હતું. સાથે જ ખાનગી સ્ટોલ પર પણ પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ હોવાનો દાવો કર્યો હતો.
કાર્યક્રમ દરમિયાન ગાંધીનગરના સેક્ટર-25 વિસ્તારમાં સામે આવેલા શરમજનક વીડિયો મામલે પણ શિક્ષણમંત્રીને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. શરૂઆતમાં તેઓ આ મુદ્દે જવાબ આપવાનું ટાળતા જોવા મળ્યા હતા, પરંતુ બાદમાં મીડિયાના સતત પ્રશ્નો વચ્ચે તેમણે જણાવ્યું હતું કે સમગ્ર મામલે તપાસ કરાવીને અહેવાલ મંગાવવામાં આવશે અને ત્યારબાદ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.








