Death due to drowning in Mahisagar river Vadodara : વડોદરાના સાવલી તાલુકાના લાંછનપુરા ગામેથી પસાર થતી મહીસાગર નદીમાં ડૂબી જવાથી 40 વર્ષીય યુવકનું મોત થયું છે. રવિવારે બનેલી દુર્ઘટનાના 24 કલાક બાદ ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓએ ભારે જહેમત બાદ મૃતદેહને શોધી કઢાયો છે. સ્થાનિક પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી કાર્યવાહી આરંભી છે. અત્રે નોંધનીય છે કે, દુર્ઘટના ઘટી તે સ્થળ હાથિયો ધરો નહાવા માટે પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો હોવા છતાં સહેલાણીઓ ત્યાં ઉમટી પડે છે.
મૂળ રાજસ્થાનના અને હાલ આણંદ ખાતે રહેતા મુકેશ સરગરો (ઉ.40) તેમના 5 વર્ષના પુત્ર તથા બે સાળા સાથે રવિવારે મહીસાગર નદીમાં નહાવા ગયા હતા. રવિવાર હોવાથી અનેક સહેલાણીઓ મહીસાગર નદી હાથિયો ધરો ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ સમયે પુત્ર અને સાળાઓ સાથે નદીમાં નહાવા પડેલા મુકેશભાઈ પાણીના પ્રવાહમાં તણાવા લાગ્યા હતા. કેટલીક ક્ષણોમાં જ મુકેશભાઈ પાણીમાં અદ્રશ્ય થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં રેસ્ક્યુ ટીમ સ્થળ પર દોડી આવી હતી.
પિકનિક સ્પૉટ બનેલા આ સ્થળ પર નદીમાં નહાવા માટે પ્રતિબંધ (Ban on bathing in river) હોવાનું બોર્ડ લાગ્યું હોવા છતાં સહેલાણીઓ નદીમાં નહાવા માટે પડે છે. અત્યારસુધીમાં હાથિયો ધરોમાં ડૂબી જવાથી 300થી વધુ લોકો મોતને ભેટી ચૂક્યા છે.








