Ambaji Mandir donation theft case : અયોધ્યા રામ મંદિરમાંથી કરોડો રૂપિયાની કથિત દાન ચોરી (Ram mandir donation theft case) નો મામલો દેશભરમાં ગાજ્યો છે. આ ચકચારી મામલે વિપક્ષના નેતાઓ શાબ્દિક હુમલા કરી રહ્યાં છે. આ વિવાદની વચ્ચે હવે ગુજરાતના સુપ્રસિદ્ધ અંબાજી મંદિરમાં પણ દાન ચોરી થતી હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. અંબાજી મંદિરના ભંડાર કક્ષમાં બનેલી ચોરીની ઘટનાના જૂના સીસીટીવી ફૂટેજ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ (CCTV footage of Ambaji donation theft goes viral) થયા છે. અત્રે નોંધનીય છે કે, અંબાજી મંદિરના ભંડારા કક્ષમાં ગત 5 મેના રોજ દાન ચોરી થઈ તે દિવસે CCTV કેમેરા બંધ હતા.
અંબાજી મંદિર દાન ચોરીની ઘટનાના વાયરલ વીડિયોમાં આઉટસોર્સિંગ કર્મચારી ચિરાગ ઠાકોર અન્ય કર્મચારીઓ સાથે નોટોની ગણતરી દરમિયાન ચોરી કરતા દેખાય છે. ગત 5 મેના રોજ ચિરાગ ઠાકોર નોટોનું બંડલ ચોરી હાથરૂમ તરફ જતા બંડલ પડી જાય છે અને બે પટાવાળા જોઈ જતા મામલો સામે આવે છે. આ અંગે અંબાજી પોલીસ સ્ટેશન (Ambaji Police Station) ખાતે મંદિરના એકાઉન્ટન્ટ કૌશલકુમાર જોષી ફરિયાદ નોંધાવે છે અને ચિરાગ ઠાકોરની પોલીસ ધરપકડ કરે છે. 5 મેના રોજ થયેલી ચોરીની ઘટનામાં મંદિર ટ્રસ્ટના કર્તાહર્તાઓએ રૂપિયા 1.04 લાખ રૂપિયા (500 રૂપિયાના દરની 104 નંગ નોટ) કબજે કર્યા હતા. ચિરાગ ઠાકોરની સાથે દાન ચોરીમાં સંડોવાયેલા વિવેક શર્મા અને નિકુંજ પટેલની ધરપકડ કરી અંબાજીના પીએસઆઈ બી. જી. ગોલેતરે (PSI B G Goletar) રિમાન્ડ મેળવ્યા હતા. વિવેક શર્મા અને નિકુંજ પટેલના ઇશારે ચિરાગ ઠાકોર દાનની રકમમાંથી બંડલ ચોરી લેતો હતો અને બહાર નીકળ્યા બાદ ગબ્બર પાસે ત્રણેય આરોપીઓ ભાગ પાડી લેતા હતા. ભૂતકાળમાં પણ આ ત્રણેય આરોપીઓએ ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. ભંડારા કક્ષમાં થતી દાનની ગણતરીમાં કોણ-કોણ સામેલ રહેશે તેનો નિર્ણય મંદિરના વહીવટકર્તા લેતા હોવાનું જાણવા મળ્યું છે. મંદિરના ભંડારા કક્ષમાં લાગેલા 20 સીસીટીવી કેમેરા અનેક વખત બંધ રહેતા હોવાની પણ એક ચર્ચા છે. 20 સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ કરવા માટે મંદિરમાં માત્ર 36 ઈંચનું ટીવી લાગેલું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.








