Monday, May 19, 2025
HomeGujaratતેણે પત્નીની હત્યા કરવાની યોજના બનાવી અને તેની પત્નીને સાપ કરડ્યો,પણ પોલીસ...

તેણે પત્નીની હત્યા કરવાની યોજના બનાવી અને તેની પત્નીને સાપ કરડ્યો,પણ પોલીસ કઈ રીતે હત્યારા સુધી પહોચી

- Advertisement -

કિરણ કાપુરે નવજીવન : કેરળમાં અત્યારે ઉથરા મર્ડર કેસની ખૂબ ચર્ચા થઈ. તેમાં આરોપી રહેલાં સૂરજ એસ. કુમારને કોલ્લમ એડિશનલ સેશન કોર્ટ દ્વારા ડબલ આજીવન કેદ ફરમાવી છે અને તેની સાથે તેને પાંચ લાખનો દંડ પણ ફટકાર્યો છે. સૂરજ જે કેસમાં આરોપી હતો તે ઘટના મે 2020માં બની હતી અને ઘટના હતી સૂરજના પત્ની ઉથરાનું સાપ કરડવાથી થેયલાં મૃત્યુની. કોઈને સાપ કરડે ત્યારે તેને શંકાની નજરે જોવાનો સવાલ ઉભો થતો નથી. પણ ઉથરા કેસમાં તપાસ કરી રહેલાં પોલીસ અધિકારીઓને શંકા ગઈ અને ધીરે ધીરે થયેલાં ગુનાની ગૂંચ ઉકેલાતી ગઈ અને તેમાં પ્રાઇમ સસ્પેક્ટ તરીકે અંતે સૂરજ દેખાયો. આ પ્રાઇમ સસ્પેક્ટ ખરેખર ગુનો આચરનાર છે તે માટે પોલીસે ખાસ્સી મશક્કત કરી અને પુરાવા એકઠા કર્યા બાદ સૂરજને હત્યા, હત્યાનો પ્રયાસ અને પુરાવા નાશ કરવાના કલમ હેઠળ કોર્ટે સખત સજા સુનાવી છે.



આ ન્યૂઝ દેશના જુદાં જુદાં ન્યૂઝ પોર્ટલ પર પ્રકાશિત થયાં છે, પરંતુ ‘ધ પ્રિન્ટ’ દ્વારા તેનું વિગતવાર કવરેજ થયું છે. ‘ધ પ્રિન્ટ’ના અહેવાલ મુજબ આ કેસમાં સૂરજ વિરુદ્ધ સીધા જ કોઈ પુરાવા મળ્યા નથી. પરંતુ કેરળ પોલીસ મેડિકલની સૂક્ષ્મ વિગતો, ફોરેન્સિંગ અને સાયન્ટફીક એવિડન્સ દ્વારા એ પુરવાર કર્યું કે ઉથરાની હત્યા તેના જ પતિ સૂરજે કરી છે. આ માટે સૂરજે 1.52 મીટર જીવતાં કોબ્રા સાપને પોતાનું સાધન બનાવ્યું હતું.

આ કેસ બન્યો અને તેનાં પછી પણ કોરોનાનો કહેર કેરળમાં ખૂબ વર્ત્યો એટલે આ પૂરા કેસની સુનાવણી ઓનલાઈન થઈ. આ દરમિયાન આરોપીને અલગ-અલગ રીતે સાતસો પ્રશ્ન પૂછવામાં આવ્યાં, જેના ઉત્તરમાં સૂરજ ગુનો પોતે નથી કર્યો તેનું રટણ કરતો રહ્યો. કેસમાં 87 પોલીસ અધિકારીઓની કોર્ટ સમક્ષ જુબાની થઈ. અને આ રીતે ઓનલાઈન ચાલેલાં કેસમાં પોલીસ એ સાબિત કરી શકી કે સાપ કરડવાથી થયેલું આ મૃત્યુ કુદરતી નહોતું, બલકે હત્યા હતી.

પોલીસને સૂરજ પર શંકા ગઈ પણ તેની વિરુદ્ધ પુરાવા નહોતા અને આ પ્રકારના કેસમાં પુરાવા કેવી રીતે એકઠા કરવા તે પણ પોલીસ માટે પડકાર હતો. પોલીસે આ માટે મેડિકલ એક્સપર્ટની મદદ લીધી. પહેલાં નેક્રોપ્સી સર્જનને આ કેસની તપાસમાં સામેલ કરવામાં આવ્યા. નેક્રોપ્સી સર્જન મૃત્યુ પામેલાં પ્રાણીઓનું સૂક્ષ્મતાથી પરીક્ષણ કરી શકે છે. તપાસ દરમિયાન જે સાપ દટાયેલો મળ્યો હતો તેનું પરીક્ષણ નેક્રોપ્સી સર્જને કર્યું. આ ઉપરાંત, તપાસમાં વેટરીનરી ડૉક્ટર્સ, વાઇલ્ડલાઇફ અધિકારી, ઝુઓલોજિસ્ટ અને હર્પેટોલોજિસ્ટ (સાપ અને અન્ય જંતુઓના વિષેશજ્ઞ)ની પણ મદદ લેવામાં આવી છે. કેરળ પોલીસ મજબૂત પૂરાવા માટે સ્નેક હેન્ડલર્સ અને અન્ય મેડિકલ એક્સપર્ટને પણ જરૂર જણાઈ ત્યારે તપાસમાં સામેલ કર્યાં. આ રીતે 29 સાંયોગિક પુરાવા દ્વારા એવું સાબિત થયું કે ઉથરાની હત્યા કરવામાં આવી છે.



આ કેસની ફરિયાદ ઉથરાના પરિવાર દ્વારા થઈ હતી. ઉથરાનું મૃત્યુ 7 મે 2020ના રોજ થયું હતું. આ દિવસે સવારે ઉથરાની માતા તેને જગાડવા ગઈ ત્યારે તે બેભાન અવસ્થામાં હતી. પછી પરિવારના સભ્યો તેને હોસ્પિટલ લઈ ગયા જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી. તેનું પિયર રહેવાનું કારણ પણ સાપનો ડંખ જ હતો. અગાઉ પણ ઉથરાને સાપે ડંખ માર્યો હતો જ્યારે તે તેના પતિના ઘરે હતી. આ ઘટના પછી તેના શરીરમાં અશક્તિ આવી હતી અને તે તેના માતા-પિતાના ઘરે આરામ કરવા આવી હતી. પરિવારને હત્યાની શંકા થઈ કારણ કે જે દિવસે ઉથરાનો મૃતદેહ મળ્યો તેની આગલી રાતે સૂરજ તેની સાથે હતો. આ દિવસે બંને પતિ-પત્ની વચ્ચે રકઝક થઈ હતી. આ વિવાદમાં સૂરજનું કહેવું એમ હતું કે તે બાળકને ત્યારે જ રાખશે જ્યારે તેનાં માતા-પિતા તેને મદદ કરે.

- Advertisement -

તપાસમાં એ પણ પ્રકાશમાં આવ્યું કે સૂરજ ઉથરા પર ઝેરી સાપ છોડે તે પહેલાં જ્યૂસમાં બેભાનીની ગોળી આપી હતી. અને જ્યારે તે બેભાન થઈ ત્યારે તેણે સાપ ઉથરા પર છોડી મૂક્યો. સાપે ઉથરાના ડાબા હાથે ડંખ માર્યો અને તેનું ઝેરથી તત્કાળ મૃત્યુ થયું. આ પૂરો કિસ્સો તો ઉથરાના પરિવાર દ્વારા બયાન થયો અને કેટલીક વિગતો પોલીસે જોડી. જોકે તેમ છતાં સૂરજ આ પૂરા કેસમાં પોતાનો ડિફેન્સ કરતો રહ્યો. તે સતત પોતાના વિરુદ્ધ ચાર્જ નકારતો રહ્યો. તેણે પોતાના બચાવમાં એક કારણ એ આપ્યું કે ફેબ્રુઆરી, 2020 એટલે કે ઉથરાના મૃત્યુના ત્રણ માસ અગાઉ તેનાં પોતાના ઘરની આસપાસ અનેક વાર સાપ દેખા દીધા અને સાપને પકડવા માટે તેણે સ્નેક હેન્ડલર્સની મદદ પણ લીધી. આ કેસમાં પત્નીને ખોટી રીતે વિશ્વાસમાં લઈને ગુનો આચર્યાનો આરોપ લાગ્યો ત્યારે સૂરજે ઉથરા માનસિક રીતે સ્વસ્થ હોવાની ખાતરી આપી. તે માટે સૂરજે ઉથરા બિન્દાસ સ્કૂટર ચલાવી શકતી હતી અને વોટ્સએપ પર અંગ્રેજી અને મલયાલમમાં ચેટ કરી શકતી તે આધાર સામે ધર્યા. જ્યાં સાપ કરડવાની ઘટના બની તે વિશે પણ સૂરજે બધો જ દોષ ઉથરા પર ધોળી દીધો જે હવે આ દુનિયામાં નથી. તેનું કહેવું હતું કે જ્યારે તે ઉથરા સાથે રૂમમાં હતો ત્યારે એક બારી ઉથરાએ જ ખુલ્લી રાખવાનું કહ્યું હતું કારણ કે એરકન્ડીશનથી તે અસ્વસ્થ જણાતી હતી. આ ઉપરાંત પણ તે ઉથરાના માતા-પિતાને દોષ દઈ રહ્યો છે. તેનું કહેવું છે કે બાળકની કસ્ટડી અને પ્રોપર્ટી વિવાદના કારણે ઉથરાના માતા-પિતા તેને ફસાવી રહ્યા છે.



હવે તપાસમાં જે તથ્યો સામે આવ્યા તે વિશે વાત. 478 પાનાંનાં જજમેન્ટમાં કોર્ટે જે વિગતની ચર્ચા કરી છે તેમાં સાપ કરડવાથી થતાં ફોરેન્સિક અને મેડિકલ લિટરેચના સંદર્ભ પણ છે. તદ્ઉપરાંત પોલીસ અધિકારીઓના નિવેદન છે. આ પૂરા સંદર્ભોથી એ વાત સ્થાપિત થાય છે કે 152 સેન્ટીમીટર લાંબો કોબ્રાનો બારીમાંથી સ્વાભાવિક પ્રવેશ અશક્ય છે. તપાસ મુજબ ઉથરાનો ખંડ ગ્રાઉન્ડ ફ્લોર પર હતો. અને ખંડની બારી જમીનથી 62 સેન્ટીમીટર ઉપર હતી. કોર્ટે નિષ્ણાતોની એ વાત સ્વીકારી કે, કોબ્રા તેની લંબાઈથી ત્રીજા ભાગની ઊંચાઈ પર ચઢીને આંબી શકે. કોબ્રાની ઊંચાઈ પર ચઢવાનો આ હિસાબ માંડીએ તો તે 50 સેન્ટીમીટરથી ઊંચાઈની જગ્યાએ ન ચઢી શકે. અને તેને કોઈ અન્ય જગ્યાએથી આવવાનો સ્કોપ નહોતો. જેમ કે રૂમના દરવાજા અને ફ્લોરમાં એટલી જગ્યા નહોતી કે બંધ દરવાજામાંથી કોબ્રા આવી શકે. આ સિવાયની પણ ખંડની અન્ય બારીઓને વધુ હાઇટ ધરાવતી હતી. એટલે કોર્ટે એ વાત પર વિશ્વાસ કર્યો કે સાપ જાતે આવ્યો તેના કરતાં તેની લાવવામાં આવ્યો તેવા પુરાવા વધુ છે. ઇવન, નિષ્ણાતોએ એ પણ મત જાહેર કર્યો કે કોબ્રા પાઇપ દ્વારા વોલ પર ચઢી શકતો નથી.

જે સમયે ઉથરાને સાપે ડંખ માર્યો તે પણ કોબ્રા માટેનો અસમાન્ય સમય ગણવામાં આવે છે. સામાન્ય રીતે તે સમયમાં કોબ્રા સાપ એક્ટિવ હોતા નથી. કોર્ટે એ પણ વાત માન્ય રાખી કે સામાન્ય રીતે કોબ્રા સાંજના પાંચ વાગ્યાથી લઈને રાતના આઠ વાગ્યા સુધી જ એક્ટિવ હોય છે. સૂરજે ઉથરાને રાતે સાપ કરડ્યાની વાત બનાવી કાઢી તેને લઈને કોર્ટે એ વાત પણ નકારી કે કોબ્રા અગાઉથી ઘરમાં હોય અને રાતરે ડંખ મારે તે શક્યતાને પણ માની ન શકાય, કારણ કે કોઈ ગંભીર કારણ સિવાય કોબ્રા આ હરકત ન કરે.



નિષ્ણાતો એ તારણ પણ કોર્ટ સામે મૂક્યું કે કોબ્રા સામાન્ય સંજોગોમાં જ્યારે ડંખ મારે ત્યારે તેનો ડંખનો વ્યાપ એટલો નથી હોતો જે ઉથરાના કિસ્સામાં જોવા મળ્યો છે. અને ઉથરાને બે જગ્યાએ સાપે ડંખ માર્યો છે તેવું પણ કોબ્રાના કિસ્સામાં બનતું નથી. આ સિવાય પણ સૂરજની હિસ્ટ્રી પોલીસે તપાસી જેમાં તેણે અનેક સ્નેક હેન્ડલર્સ સાથે દોસ્તી બનાવી હતી. તેનું કસમયે સાપના વિડિયો જોવા તે પણ તેના ઇરાદા પર શંકા માટે પુરતાં હતાં. આ સિવાય પણ પોલીસે લાઇવ ડેમોસ્ટ્રેશન કરીને પણ સાપના ડંખનો વ્યાપ અને તેની રૂમમાં એન્ટ્રીના પુરાવા મૂક્યા. હવે સૂરજને સજા થઈ ચૂકી છે. દાંપત્ય જીવનથી છૂટવા સૂરજે ગુનોના માર્ગે ચઢ્યો. હવે તેની પાસે તેની પત્ની તો નથી પણ બીજું બધું પણ તે ખોઈ ચૂક્યો છે.

તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

- Advertisement -



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular