પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રચારકથી મુખ્યમંત્રી થવું અને ત્યાર બાદ વડાપ્રધાન થવું કોઈ નાની ઘટના નથી, પણ જેમ જેમ કદ વધતુ જાય તેમ તેમ તમારા મુળીયા જડ સાથે વધારે મજબુત થવા જોઈએ. હાલમાં સ્થિતિ એવી છે કે નરેન્દ્ર મોદીના કદની વાત પણ થઈ શકે તેમ નથી, પરંતુ ગુજરાતમાં ગત સપ્તાહે એક ઘટના ઘટી જેમાં નરેન્દ્ર મોદી એક ડગલુ આગળ આવ્યા હોત તો કદાચ તેમના કદમાં વધુ વધારો થયો હોત, પણ અફસોસ નરેન્દ્ર મોદી તેવું કરી શક્યા નહીં, આખી ઘટના નરેન્દ્ર મોદીના વિરોધી માટે એક ટીકાનો અવસર હોઈ શકે પણ નરેન્દ્ર મોદીને પ્રેમ કરનાર વર્ગ ભલે જાહેરમાં મૌન બની ગયો હોય પણ તેમનું મન પણ નરેન્દ્ર મોદીના આ વ્યવહારથી રાજી નથી. જ્યારે આપણને કોઈ પણ પ્રેમ કરવા લાગે ત્યારે જેમને પ્રેમ મળે છે તેમની જવાબદારી વિશેષ રીતે વધી જાય છે કારણ પ્રેમ કરનારાઓની અપેક્ષાઓ પણ તેમાં જોડાયેલી હોય છે. પ્રેમ કરનારી વ્યકિત કોઈ લાભની અપેક્ષા રાખતો હોય નહીં પણ જેમને આપણે પ્રેમ કરીએ છીએ તે માણસ તરીકે ઉત્તમ હોય તેવી અપેક્ષા રાખવી વધારે પડતી નથી.
ઘટના એવી હતી કે, ગુજરાતમાં ગત સપ્તાહે નરેન્દ્ર મોદી કેટલાંક કાર્યક્રમમાં હજાર રહ્યા હતા. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાબરમતી નદી ઉપર નિર્માણ પામેલા અટલબ્રીજનું લોકાપર્ણ કરવાના હતા. આ કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હાજર હતા. ત્યાર બાદ બીજા દિવસે તેમણે કચ્છમાં નવનિર્મિત સ્મૃતિ ભવનનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા. નરેન્દ્ર મોદીના આદેશ પ્રમાણે તેઓ વડાપ્રધાન થયા પછી તેમના ખાસ કાર્યક્રમનું શુટીંગ અને પ્રસારણ કરવાનો અધિકાર માત્ર દુરદર્શન પાસે જ છે. ખાનગી ન્યૂઝ ચેનલ્સ પણ તેમના સમાચાર માટે દુરદર્શન પાસેથી ફીડ મેળવે છે. દુરદર્શનના જીવંત પ્રસારણમાં દેખાય છે કે જ્યાં લોકાપર્ણ થવાનું હતું, ત્યાં નરેન્દ્ર મોદી અને ભુપેન્દ્ર પટેલ ઊભા છે. ટીવીના સ્ક્રીન ઉપર માત્ર મોદી અને પટેલ સાથે તેમના સલામતી રક્ષકો દેખાય છે. અચાનક મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું ધ્યાન જાય છે કે સામે તરફ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ ઊભા છે, તેઓ હાથના ઈશારો કરી સી આર પાટીલને પોતાની સાથે ઊભા રહેવા માટે બોલાવે છે.
નરેન્દ્ર મોદી અને ભુપેન્દ્ર પટેલ જ્યાં ઊભા હતા ત્યાં જવા માટે સી આર પાટીલ આગળ વધે છે તે જીવંત પ્રસારણમાં જોઈ શકાય છે. જેવા સી આર પાટીલ લોકાપર્ણના સ્થળે પહોંચે છે જ્યાં નરેન્દ્ર મોદી અને ભુપેન્દ્ર પટેલ ઊભા છે ત્યાં પહોંચતા કોઈ પણ કારણસર સી આર પાટીલનું શારિરીક સંતુલન બગડે છે અને પાટીલ નીચે ગબડી પડે છે. રસ્તે જતો અજાણ્યો માણસ પણ ગબડી પડે તો સ્વભાવીક અને સહજ રીતે આપણે તેનો હાથ પકડી તેને ઊભો કરવાનો પ્રયત્ન કરીને પુછીએ છીએ કે કંઈ વાગ્યુ તો નથી ને. પાટીલ ગબડી પડતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એક સામાન્ય માણસ જેવો જ વ્યવહાર કરે છે. તેઓ તરત પાટીલની મદદે પહોંચે છે એટલું જ નહીં નરેન્દ્ર મોદીની પાછળ ઊભો રહેલો એક રક્ષક પણ મદદ માટે આવે છે. પટેલ અને રક્ષક પાટીલને ફરી ઊભા થવામાં મદદ કરે છે અને પાટીલ ઊભા થઈ સ્વસ્થ થવાનો અને સ્વસ્થ દેખાવાનો પ્રયત્ન કરે છે. ગબડી જવાને કારણે પાટીલને કોઈ નાની ઈજા પણ થઈ છે કે નહીં તેની ખબર નથી, અને આખી ઘટનામાં પાટીલને આઘાત લાગ્યો કે નહીં તેની ખબર નથી પણ આ દૃશ્ય જોનારને જરૂર આઘાત લાગ્યો છે.
નરેન્દ્ર મોદીએ નીચે પડેલા સી આર પાટીલનો હાથ પકડી ઉભા કર્યા હોત તેમનું કદ વધારે વધી જતુ#PMModi #CRPatil #CMBhupendraPatel #Gujarat pic.twitter.com/oqnOsbTXyM
— Navajivan News (@NavajivanNews) September 7, 2022
પોતાની તરફ આવી રહેલા પોતાના વર્ષો જુના સાથી સી આર પાટીલ ગબડી પડે છે, પરંતુ નરેન્દ્ર મોદી તેમને ઊભા થવા માટે મદદ તો નથી કરતા પણ તેમના ચહેરા અને વ્યવહારમાં કોઈ ફેરફાર થતો નથી. એટલુ જ નહીં નરેન્દ્ર મોદી ગબડી પડેલા સી આર પાટીલ સામે નજર સુધ્ધા કરતા નથી. એક માણસ આવો વ્યવહાર કેવી રીતે કરી શકે, આપણે સ્કૂટર લઈ જતા હોઈએ અને કબુતર આડુ આવે તો પણ અચાનક આપણી બ્રેક વાગી જાય છે. આપણને સ્કૂલમાં કે આરટીઓએ શીખવાડ્યું નથી કે કબુતર આડુ આવે તો બ્રેક મારવી પણ આ કરુણા આપણી અંદર જન્મજાત હોય છે. નરેન્દ્ર મોદી અને સી આર પાટીલે અઢી દાયકા સાથે કામ કર્યું છે અને નિરાશાના દિવસોમાં પાટીલ તેમની પડખે હતા. 1995માં શંકરસિંહના બળવા પછી નરેન્દ્ર મોદીને ગુજરાતનો વનવાસ ભોગવવો પડ્યો ત્યારે પાટીલ તેમની સાથે ઊભા રહ્યા હતા. માની પણ લઈએ કે પાટીલ ત્યારે તેમની સાથે ન્હોતા તો પણ એક માણસ તમારી સામે ગબડી પડે ત્યારે તમારો હોદ્દો- તમારી સત્તા અને તમારો પ્રોટોકલ તમને મદદ કરતા રોકે તો લાગે છે બધુ વ્યર્થ છે.
અહિયા ઈરાદો માત્ર નરેન્દ્ર મોદીની ટીકા કરવાનો નથી. નરેન્દ્ર મોદીએ ગબડી પડેલા પાટીલને ઊભા તો ના કર્યા પણ તેમને કોઈ તકલીફ પણ પડી નહીં તે કાયદેસર કોઈ ગુનો નથી પણ એક માણસ તરીકે આપણને વ્યકિતગત અફસોસ થવો જોઈએ કે હું કોઈની મદદ કરી શકયો નહીં, પણ નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર તેવો અફસોસ પણ ન્હોતો. દરેક માણસ પોતાની જાતને પ્રેમ કરતો હોય છે. નરેન્દ્ર મોદી બીજા કરતા પોતાની જાતને વિશેષ પ્રેમ કરે છે તેમાં પણ કંઈ વાંધો નથી પણ આપણે માત્ર પોતાના જ પ્રેમમાં ગળાડુબ રહીએ તો આપણે ઘાતક રસ્તે આગળ વધી રહ્યા છીએ. કેમેરાની ફ્રેમમાં માત્રને માત્ર હું નજરે પડું તેવો નિર્ણય પણ વ્યકિતગત હોઈ શકે છે તેની સામે પણ વાંધો ના હોઈ શકે પણ લોકો મને અને માત્ર મને જ જુવે તેવી જીજીવીષા વચ્ચે પણ ગબડી પડેલા સી આર પાટીલને કેમેરા માટે પણ જો નરેન્દ્ર મોદીએ ઊભા કર્યા હોત તો પણ તેમના સમર્થકો આફરીન પોકારી ગયા હોત. દિલ્હીના એક પાર્કના ઉદ્દઘાટનમાં સ્ક્રીપ્ટ પ્રમાણે ઉપર પડેલો કચરો આપણે ઉપાડી લઈ ડસ્ટબીનમાં નાખીએ છી તો કચ્છમાં એક જીવતો માણસ પડી ગયો હતો પણ આપણે એટલું પણ કરી શક્યા નહીં કારણ પાટીલનું પડી જવું સ્ક્રીપ્ટ આધારિત ન્હોતું.