નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ મોસ્કોથી દિલ્હી આવી રહેલી ફ્લાઇટમાં બોમ્બ હોવાની માહિતી મળતાં દિલ્હીના IGI એરપોર્ટ પર હંગામો મચી ગયો હતો. પ્લેનના લેન્ડિંગથી યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ એજન્સીઓ સાવચેતીના ભાગરૂપે એલર્ટ થઈ ગઈ હતી. અત્યાર સુધી કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF) ને શુક્રવારે વહેલી સવારે રશિયન રાજધાની મોસ્કોથી દિલ્હી જતી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પર બોમ્બની ધમકી મળી હતી, પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે સંબંધિત ફ્લાઈટમાં CISFને બોમ્બની ચેતવણી આપવામાં આવી હતી.
ઈમેલમાં જણાવવામાં આવ્યું હતું કે આજે સવારે 3.20 વાગ્યે ટી3 પર પહોંચતી ફ્લાઈટ SU 232 (મોસ્કોથી દિલ્હી)માં બોમ્બ છે. આ પછી બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને અન્ય બચાવ ટીમો મોકલવામાં આવી અને પ્લેન રનવે 29 પર લેન્ડ થયું. ફ્લાઇટમાંથી 386 મુસાફરો અને 16 ક્રૂ મેમ્બર્સને ઉતારવામાં આવ્યા હતા. સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર પ્લેનની સંપૂર્ણ તપાસ કરવામાં આવી છે અને હજુ સુધી કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. તેમણે જણાવ્યું કે વિમાનને અલગથી પાર્ક કરવામાં આવ્યું છે.
14 જૂન, 2021ના રોજ દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જ્યારે કોઈએ દિલ્હી પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરીને જાણ કરી કે પટના જઈ રહેલી ફ્લાઈટ એસજી 8721માં બોમ્બ રાખવામાં આવ્યો છે. આ સમાચાર મળતા જ સમગ્ર એરપોર્ટ પર હડકંપ મચી ગયો હતો. ફ્લાઈટ થોડીવારમાં ટેકઓફ થવાની હતી. મામલાની ગંભીરતાને જોતા દિલ્હી પોલીસ અને તમામ સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ ઉતાવળમાં ફ્લાઈટ પર પહોંચી ગયા હતા. આખી ફ્લાઈટની સર્ચ કરવામાં આવી તો જાણવા મળ્યું કે ફ્લાઈટમાં બેઠેલા 22 વર્ષીય આકાશદીપે બોમ્બ વિશે ખોટી માહિતી આપી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આકાશદીપની માનસિક સ્થિતિ સારી નહોતી. તેની મેડિકલ તપાસ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.








