નવજીવન ન્યૂઝ. મુંબઈ: મની લોન્ડરિંગના આરોપમાં ધરપકડ મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકની જેલ કસ્ટડી 4 એપ્રિલ સુધી વધારી દેવામાં આવી છે. મલિકની અરજી પર કોર્ટે તેને જેલમાં બેડ અને ખુરશીની મંજૂરી આપી હતી. ગયા મહિને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) મારફતે નવાબની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો હતા. કેન્દ્રીય તપાસ એજન્સીના અધિકારીઓ ગત મહિને એનસીપી નેતા મલિકના ઘરે પહોંચ્યા હતા, જ્યાં તેમની એક કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને ED ઓફિસ લાવવામાં આવ્યા હતા અને લાંબી પૂછપરછ ચાલી હતી. ત્યાર બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
મુંબઈ અંડરવર્લ્ડ, ભાગેડુ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહીમ અને તેના સાગરીતોની ગતિવિધિઓ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં ED દ્વારા પૂછપરછ બાદ મલિકની ધરપકડ કરવામાં આવી હતી. માહિતી અનુસાર નવાબ મલિકની દાઉદના સહયોગીઓ સાથે કથિત લેવડ-દેવડ અને તેમની સાથે જમીનના સોદાના સંબંધમાં પૂછપરછ કરવામાં આવી હતી. EDએ જણાવ્યું કે, પૂછપરછ દરમિયાન નવાબ મલિક ધૂંધળા થઈ રહ્યા હતા અને તેમણે તપાસમાં સહયોગ આપ્યો ન હતો. તાજેતરમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અનેક જગ્યાએ દરોડા પાડ્યા હતા અને આ કેસમાં દાઉદ ઇબ્રાહિમના ભાઇ ઇકબાલ કાસકરને પણ કસ્ટડીમાં લઇ લીધો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસ દરમિયાન નવાબ મલિકે ખરીદેલી સંપત્તિ સાથે જોડાયેલા કેટલાક પુરાવા સામે આવ્યા હતા.
મહારાષ્ટ્રમાં નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)એ નવાબ માલિકના તમામ વિભાગોને પાર્ટીના અન્ય મંત્રીઓમાં વહેંચવાનો નિર્ણય કર્યો છે. એક વરિષ્ઠ નેતાએ આ વાત કહી હતી. આ નિર્ણયથી શિવસેનાની આગેવાની હેઠળની મહા વિકાસ આઘાડી સરકારમાં મલિકમાં કોઈ ખાતું બાકી નહીં રહે. એનસીપીએ મલિકને રાજીનામું ન આપવાનું કહેવાનો નિર્ણય પણ લીધો છે. વિપક્ષી ભાજપે મલિકના રાજીનામાની માંગ કરી છે.
![]() |
![]() |
![]() |











