US Iran deal news: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)એ ઈરાન સાથેના યુદ્ધવિરામ (Ceasefire)ને લઈને મોટું નિવેદન આપ્યું છે. અમેરિકી હુમલા બાદ બુધવારે તેમણે સ્પષ્ટ કહ્યું કે તેમના મતે ઈરાન સાથેનો યુદ્ધવિરામ હવે સમાપ્ત થઈ ગયો છે. ટ્રમ્પે તેહરાનમાં સત્તા પર રહેલા નેતૃત્વની કડક શબ્દોમાં ટીકા કરતાં કહ્યું કે તેમની સાથે વાતચીત કરવી હવે સમયનો બગાડ છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકાએ હોર્મુઝ જળમાર્ગ (Strait of Hormuz)માં વ્યાપારી જહાજો પર થયેલા હુમલાઓના જવાબમાં ઈરાન પર નવા હુમલા કર્યા છે, જ્યારે ઈરાને પણ કુવૈત અને બહેરિનમાં આવેલા અમેરિકી સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે.
ટ્રમ્પ હાલમાં તુર્કીની રાજધાની અંકારામાં (Ankara) યોજાઈ રહેલી નાટો (NATO) સમિટમાં ભાગ લઈ રહ્યા છે. સમિટ દરમિયાન પત્રકારોએ જ્યારે પૂછ્યું કે શું ઈરાન સાથેનો યુદ્ધવિરામ હવે સમાપ્ત થઈ ગયો છે, ત્યારે તેમણે જવાબ આપ્યો કે, “મારા મતે તો તે સમાપ્ત થઈ ગયો છે.” તેમણે વધુમાં કહ્યું કે અમેરિકાના પ્રતિનિધિઓ ઈરાન સાથે વાતચીત ચાલુ રાખી શકે છે, પરંતુ તેમને નથી લાગતું કે તેનાથી કોઈ પરિણામ મળશે.
ટ્રમ્પે ઈરાનના નેતૃત્વ પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે તેઓ હિંસક વિચારસરણી ધરાવે છે અને જો તેમની પાસે પરમાણુ હથિયાર હશે તો તેનો ઉપયોગ કરવામાં પણ તેઓ પાછળ નહીં રહે.
અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ એવા સમયે વધુ વધ્યો છે જ્યારે ઈરાનના પૂર્વ સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનેઈ (Ayatollah Ali Khamenei)ના અંતિમ સંસ્કાર ચાલી રહ્યા છે. અહેવાલો અનુસાર, યુદ્ધની શરૂઆતમાં થયેલા અમેરિકી હુમલામાં તેમના મોત થયા હતા. અંતિમ સંસ્કાર પૂર્ણ થયા બાદ હોર્મુઝ જળમાર્ગને સંપૂર્ણ રીતે ખોલવા અને ઈરાનના વિવાદાસ્પદ પરમાણુ કાર્યક્રમ જેવા મુદ્દાઓ પર અંતિમ સમજૂતી માટે બંને દેશો વચ્ચે ચર્ચા શરૂ થવાની હતી. જોકે નવા હુમલાઓ બાદ આ ચર્ચાના ભવિષ્ય પર સવાલો ઊભા થયા છે.
જોકે બંને દેશોએ હજુ સત્તાવાર રીતે વાતચીત સંપૂર્ણપણે બંધ કરવાની જાહેરાત કરી નથી. ઈરાનની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાકર કાલીબાફ (Mohammad Bagher Ghalibaf)એ સોશિયલ મીડિયા પર લખ્યું કે ધમકી અને દબાણનો સમય હવે પૂરો થઈ ગયો છે અને ઈરાન કોઈપણ દબાણ સામે ઝૂકશે નહીં.








