નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: તાજેતરમાં જ જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા (Junior Clerk Recruitment Exam) નું પેપર લીક થતા ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ પર સવાલ પેદા થવા લાગ્યા હતા. ત્યારે સરકાર દ્વારા પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષને લઈ મહત્વની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં IPS હસમુખ પટેલ (IPS Hasmukh Patel) ને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના નવા ઈન્ચાર્જ અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. હસમુખ પટેલને જવાબદારી મળતાની સાથે જ તેમણે રદ થયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષા બાબતે માહિતી આપી હતી.
તારીખ 29 જાન્યુઆરીના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આશરે 9 લાખ ઉમેદવારો પરીક્ષા આપે તે પહેલા પરીક્ષાના દિવસે જ ગુજરાત એટીએસએ ઘટસ્ફોટ કર્યો હતો કે પરીક્ષાનું પેપર ફૂટી ગયું છે. ગુજરાત એટીએસએ પેપર સાથે રંગે હાથ આરોપીઓને ઝડપી લેતા વહેલી સવારે જ મંડળ દ્વારા પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે ભારે હોબાળા સાથે ઉમેદવારોએ વિરોધ પણ નોંધાવ્યો હતો અને ઠેર-ઠેર દેખાવો કર્યા હતા. સાથે જ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના બેજવાબદાર વલણ પર પણ સવાલો પેદા થવા લાગ્યા હતા. આમ આ ઘટના મામલે સરકાર પર દબાણ સર્જાવા લાગતા સરકારે મંડળના અધ્યક્ષ મામલે નિર્ણય લેવો પડ્યો છે. જેમાં સરકારે હાલ તાત્કાલીક મંડળના અધ્યક્ષ તરીકેનો ચાર્જ IPS હસમુખ પટેલને સોંપી દીધો છે.
હસમુખ પટેલને અધ્યક્ષનો ચાર્જ સોંપવામાં આવતાની સાથે જ તેઓએ જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈ મહત્વની જાહેત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘ઉમેદવારો પરીક્ષાની તૈયારી શરૂ કરી દે. વહેલી પરીક્ષા અને સ્વચ્છ પરીક્ષા લેવી તે અમારી પ્રાથમિકતા છે. સાથે જ તેમણે ટ્વિટ કરી માહિતી આપી હતી કે, ‘મેં પંચાયત મંડળનો ચાર્જ સંભાળી લીધો છે. જુનિયર ક્લાર્કની રદ થયેલી પરીક્ષા એપ્રિલ માસમાં લેવામાં આવશે.’
આ પણ વાંચો: પેપરલીક પર હાર્દિક પટેલના નિવેદન બાદ, શું તમને ભાજપ ગમે છે? વાળો વીડિયો વાયરલ
સાથે જ તેમણે એક મીડિયાને જણાવ્યું હતું કે, હાલ પરીક્ષાની તારીખ જાહેર નહીં કરી શકાય, પરંતુ થોડી તૈયારીઓ થાય બાદમાં જાહેરાત કરવામાં આવશે. અને પેપર ક્યાં પ્રિન્ટ થશે કેવી રીતે થશે તે તમામ બાબતોને ગોપનીય રાખી કાર્ય કરવામાં આવશે. વિદ્યાર્થીને કમનસીબે થયેલી ઘટનાનો લાભ લઈ વધારે સમય મળ્યો છે તો મહેનત કરવી જોઈએ.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








