નવજીવન ન્યૂઝ અમદાવાદ: આ વર્ષે આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ ઉજવાઈ રહ્યું છે. આ વર્ષની રાજ્ય વ્યાપી ઉજવણીના કાર્ય આયોજનની ઉચ્ચ સ્તરિય સમિતિની પ્રથમ ત્રિમાસિક બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષની આ ઉજવણીમાં સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમોના આયોજન માટેના એક્શન પ્લાનની સમીક્ષા આ બેઠકમાં હાથ ધરવામાં આવી હતી.
મુખ્યમંત્રીએ આ બેઠકમાં જણાવ્યું કે, ભારતમાં સહકારી ક્રાંતિના જન્મ સ્થળની ઓળખ ધરાવતા ગુજરાત પાસે આ આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ-૨૦૨૫ને સફળ બનાવવા માટે નવા સહકારી મોડેલ્સને પ્રોત્સાહન આપીને ગ્રામીણ સશક્તિકરણને વેગ આપવાની ઉત્તમ તક આવી છે.
તેમણે આ હેતુસર એક્શન પ્લાન મુજબ વિવિધ કાર્યક્રમોનું આયોજન થાય અને સહકારી સંસ્થાઓ તથા પ્રજાજનોની સહભાગીતાથી તે સફળતાપૂર્વક ઉજવીને “કો-ઓપરેટિવ્ઝ બિલ્ડ અ બેટર વર્લ્ડ”ની થીમને ગુજરાત સાચા અર્થમાં પરિપૂર્ણ કરે તે માટે કાર્યરત રહેવાનું માર્ગદર્શન આપ્યું હતું.
કૃષિ મંત્રી રાઘવજી પટેલ, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુવરજી બાવળીયા તથા સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં યોજાયેલી આ ઉચ્ચસ્તરીય બેઠકમાં આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ-૨૦૨૫ અન્વયે જાન્યુઆરી-૨૦૨૫થી જુન-૨૦૨૫ દરમિયાન કરવામાં આવેલા વિવિધ કાર્યક્રમોની સફળતાનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ અંતર્ગત યોજાનારા આગામી કાર્યક્રમોના આયોજનને પણ આખરી ઓપ આપવામાં આવ્યો હતો. આ આયોજન અંગેના વિસ્તૃત પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું કે, ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ અંતર્ગત સરદાર પટેલની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે તા. ૫ અને ૬ જુલાઈએ આણંદમાં કેન્દ્રીય સહકારીતા અને ગૃહ મંત્રી અમિત શાહની વિશેષ ઉપસ્થિતિમાં સરદાર અને સહકાર વિષયક કાર્યક્રમો યોજાશે.
તદઅનુસાર, મંત્રી અમિત શાહ તા. ૫ જુલાઈએ સવારે આણંદમાં દેશની પ્રથમ સહકારિતા યુનિવર્સિટી ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનું ભૂમિપૂજન કરશે ત્યારબાદ અમદાવાદમાં સાયન્સ સીટી ખાતે અમિત શાહની અધ્યક્ષતામાં સહકાર સંવાદ યોજાશે. આ સંવાદ કાર્યક્રમમાં ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સહકારી સંસ્થાઓના પદાધિકારીઓ પણ સહભાગી થશે.
કેન્દ્રીય સહકારીતા અને ગૃહમંત્રી તા.૬ જુલાઈએ આણંદમાં એન.ડી.ડી.બી. તથા અમૂલની નવી પરિયોજનાઓના ઉદઘાટન પણ કરવાના છે.
એટલું જ નહિ, રાજ્યમાં તા. ૧ થી ૬ જુલાઈ દરમિયાન સહકાર સપ્તાહની પણ ઉજવણી કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષની આ ઉજવણી અન્વયે આગામી સપ્ટેમ્બર-ઓક્ટોબર માસમાં ૩ થી ૬ વર્ષની આયુના અંદાજે 30 લાખ બાળકોને દૂધ સંઘો, સહકારી બેંકો તથા પેક્સ વગેરે દ્વારા દૂધ, મગ, ચીક્કી જેવા ન્યુટ્રિશન ફુડનું વિતરણ કરાશે.