નવજીવન. ચંદીગઢ: હરિયાણા સરકારે મંગળવારે રાજ્યમાં ડોકટર્સની હડતાળને ગેરકાયદેસર ઠેરવતા આવશ્યક સેવા જાળવણી (ઇએસએમએ) કાયદો અમલમાં મુક્યો હતો. આરોગ્ય પ્રધાન અનિલ વિજે ટ્વીટ કર્યું હતું કે, “હરિયાણામાં ઇએસએમએ લાગુ કરવામાં આવ્યું છે, આરોગ્ય કર્મચારીઓ હવે 6 મહિના સુધી હડતાળ પર જઈ શકશે નહીં. આ પગલું ત્યારે આવ્યું છે જ્યારે ડોકટર્સનું એક જૂથ કોરોનાના નિવારણમાં વિક્ષેપ પાડવા માટે હડતાળ પર ઉતર્યું હતું, કારણ કે હડતાળકોરો વાયરસના સંક્રમણને રોકવામાં અવરોધ કરી રહ્યા હતા.”
ઇએસએમએ એક્ટ હેઠળ સરકારને જાહેર હિતમાં હડતાળને ગેરકાયદેસર ઠેરવવાનો અધિકાર મળે છે. જોકે મંગળવારે રાજ્ય સરકારની હોસ્પિટલોમાં ડોકટર્સની હડતાળને કારણે આરોગ્ય સેવાઓને અસર થઈ હતી. ડોકટર્સએ તેમની માંગને લઈને ઓપીડીનું કામ સ્થગિત કરી દીધું હતું. ડોકટર્સની માંગ છે કે એમએસ અને એમડી ડોકટર્સ માટે નિષ્ણાત કેડર સ્થાપિત કરવામાં આવે અને વરિષ્ઠ તબીબી અધિકારીઓની સીધી ભરતી પર પ્રતિબંધ મૂકવામાં આવે.
સરકારી ડોકટર્સનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા હરિયાણા સિવિલ મેડિકલ સર્વિસીસ એસોસિએશનના રાજેશ શેવકંદે જણાવ્યું હતું કે ડોકટર્સની હડતાળ દરમિયાન માત્ર ઓપીડી સેવાઓને અસર થઈ હતી, પરંતુ ઇમરજન્સી સેવાઓ અને કોવિડ-19 રસીકરણ ઝુંબેશ ચાલુ રહી હતી. હરિયાણાના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ખાસ કરીને હાલની કટોકટીની પરિસ્થિતિમાં ડોકટર્સએ સમાજમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવી પડશે. મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્ય સરકાર ડોકટર્સના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. આરોગ્ય મંત્રાલયની સાથે ગૃહ મંત્રાલયનો હવાલો સંભાળતા વિજે જણાવ્યું હતું કે ડોકટર્સની માંગ અંગે સૈદ્ધાંતિક નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ તેઓ હડતાળ પર ઉતર્યા હતા.
વિજે કહ્યું કે, મેં ડૉક્ટર્સની માંગ સ્વીકારી લીધી હતી અને મુખ્યમંત્રી સહિત સંબંધિત વિભાગને મોકલી આપી હતી, ગઈકાલે મુખ્યમંત્રી સાથેની અમારી બેઠક બાદથી અમે તેમની માંગ પ્રત્યે સકારાત્મક રહ્યા છીએ, માંગણીઓને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. એવું લાગે છે કે ચિકિત્સકોની હડતાળ પાછળ બીજું કોઈ છે જે કોરોના વાયરસ સામેના યુદ્ધને વિક્ષેપિત કરવા માંગે છે, તેથી અમે આ કાયદો લાગુ કર્યો છે.
![]() |
![]() |
![]() |











