નવજીવન ન્યૂઝ, ગાંધીનગર : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Gujarat Local Body Election) ના ધમધમાટ વચ્ચે ભરૂચના સાંસદ મનસુખ વસાવા (Mansukh Vasava MP) એ કરેલી મોટી જાહેરાત Gandhinagar માં ચર્ચાનો વિષય બન્યો છે. સાત ટર્મથી સાંસદ રહેલાં મનસુખ વસાવાએ જાહેરમાં નિવેદન આપ્યું છે કે, તેઓ હવે આગામી આઠમી ટર્મની ચૂંટણી નહીં લડે. યુવા કાર્યકરોને તક આપવા માટે ચૂંટણી ન લડવા તેમણે આ નિર્ણય લીધો છે. સાંસદ મનસુખ વસાવાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે આ નિવેદન આપતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે.
નર્મદાના રાજકારણમાં નિવેદનબાજીથી હંમેશા ચર્ચામાં રહેતા અને આપ નેતા ચૈતર વસાવા (Chaitar Vasava) ના વિરોધી ભરૂચ-નર્મદાના લોકસભા ક્ષેત્રના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ગુજરાતમાં પાલિકા-પંચાયતની ચૂંટણીના ગરમાવા વચ્ચે મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. મનસુખ વસાવાનું કહેવું છે કે, હવે સમય આવી ગયો છે કે નવા અને યુવા કાર્યકરોને આગળ લાવવામાં આવે. તેમણે જણાવ્યું કે, “મારા પછી હવે યુવા કાર્યકરને તૈયાર કરવા જોઈએ, જેથી હું હવે આઠમી ચૂંટણી નહીં લડું.” ત્યારે તેમના આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે.








