Ayodhya Ram Mandir Water Leakage : અંદાજે 1800 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં વારંવાર પાણી ભરાવાની ઘટના બને છે. ભારે વરસાદના કારણે રામ મંદિરના ગર્ભગૃહ અને પરિસરમાં પાણી ભરાઈ ગયા (Rainwater floods Ayodhya Ram temple) હતા. રામ દરબાર તરફ જતી સીડીઓ પરથી પાણી વહેવા લાગતા ઝરણાં જેવા દ્રશ્યો સર્જાયા હતા. મંદિરમાં પાણી પડવાની તેમજ ભરાઈ જવાના કારણે દર્શનાર્થીઓને અટકાવી દેવાયા હતા. આટલી આધુનિક અને સુવ્યવસ્થિત રીતે નિર્મિત ભવ્ય મંદિરમાં વારંવાર પાણી ભરાવાની આ ઘટનાને લઈને ભારે ચિંતા પ્રવર્તી રહી છે. જો કે, આ અંગે તંત્ર કે સત્તાધીશો તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
અયોધ્યા રામ મંદિરમાં પાણી ભરાવાની તેમજ લીકેજ થવાની આ પ્રથમ ઘટના નથી. અગાઉ પણ ભવ્ય રામ મંદિરમાં આવી સ્થિતિ સર્જાઈ ચૂકી છે. ગઈકાલે મંગળવારે બપોરે અચાનક બદલાયેલા હવામાન વચ્ચે અંદાજે પોણો કલાક સુધી વરસેલા વરસાદને કારણે રામનગરીના અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા. રામ મંદિરના પ્રવેશદ્વાર સામે આવેલા રામપથ પર ભારે જળબંબાકાર જોવા મળ્યો હતો. જેના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે પ્રભાવિત થયો હતો. રામ મંદિરમાં વરસાદી પાણી ભરાતા સુરક્ષાના ભાગરૂપે દર્શનાર્થીઓેને અટકાવી દેવાયા હતા. રામ દરબાર તરફ જતી સીડીઓ પર જાણે ઝરણાં વહેતા હોય તે રીતે પાણી વહેતું હતું.
વીઆઈપી વિસ્તાર ગણાતા સિવિલ લાઈનથી રામપથ સુધીના માર્ગો પાણીમાં ડૂબી ગયા ગતા. હનુમાનગઢી વિસ્તાર, ટેઢી બજાર અને બિરલા ધર્મશાળાની આસપાસ પણ પાણી ભરાઈ ગયા હતા. સીતાપુર આઈ હોસ્પિટલના જૂના મકાન સામે આવેલી દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતાં વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.








