નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં ગરમીનું મોજું જોર પકડતું જઈ રહ્યું છે. દેશના ઘણા વિસ્તારોમાં હીટવેવ જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. ઉત્તર પ્રદેશના બાંદામાં 17 એપ્રિલ, 2026ના રોજ 45°C તાપમાન નોંધાયું હતું, જ્યારે વિદર્ભના વર્ધામાં પણ પારો 45°C સુધી પહોંચ્યો હતો. દિલ્હીમાં પણ તીવ્ર ગરમીને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 5 દિવસ દરમિયાન દેશના 11 જેટલા રાજ્યોમાં લૂ ફૂંકાવાની શક્યતા છે. 21થી 25 એપ્રિલ દરમિયાન ગુજરાત, દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં આકરી ગરમી રહેશે. ઉપરાંત ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ અને બિહારમાં પણ તાપમાનમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે.
ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે પણ ગરમીનો કહેર યથાવત્ રહ્યો છે. સોમવારે સતત બીજા દિવસે રાજકોટ 41.1°C સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. દિવસ દરમિયાન ભારે ગરમી અને સાંજ સમયે ઉકળાટનો અનુભવ થયો હતો. હવામાન વિભાગના અનુમાન મુજબ આજે રાજકોટમાં પારો 42°C સુધી પહોંચી શકે છે.
21 એપ્રિલ, 2026ના રોજ રાજ્યના મુખ્ય શહેરોના મહત્તમ તાપમાન મુજબ
- રાજકોટ – 41.1°C
- અમરેલી – 40.9°C
- અમદાવાદ – 40.2°C
- ગાંધીનગર – 39.6°C
- વડોદરા – 39.6°C
- ડીસા – 39.6°C
- ભુજ – 39.2°C
- સુરત – 37.5°C
- ભાવનગર – 37.5°C
- કંડલા – 35.7°C
- નલિયા – 34.8°C
- પોરબંદર – 34.4°C
- દમણ – 33.6°C
- દીવ – 32.8°C
- ઓખા – 32.7°C
- વેરાવળ – 31.3°C
- દ્વારકા – 30.5°C
હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા મુજબ દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન તરફ સક્રિય સિસ્ટમના પ્રભાવ હેઠળ રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજવાળું અને ગરમ વાતાવરણ રહેવાની શક્યતા છે, જ્યારે ઉત્તર-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાશે.
આજે રાજકોટમાં સૌથી વધુ 42°C તાપમાન રહેવાની શક્યતા છે. આ ઉપરાંત અમરેલી, અમદાવાદ અને વડોદરામાં 41°C; ગાંધીનગર અને ડીસામાં 40°C; ભુજ અને સુરતમાં 39°C; ભાવનગરમાં 37°C; કંડલામાં 36°C; નલિયા અને દમણમાં 35°C; પોરબંદરમાં 34.4°C; દીવ, ઓખા અને વેરાવળમાં 33°C સુધી તાપમાન રહેવાની શક્યતા છે. દ્વારકામાં સૌથી ઓછું 31°C તાપમાન નોંધાઈ શકે છે.
રાજ્યમાં વધતી ગરમીને કારણે બપોરના સમયે લોકો માટે બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે. ટુ-વ્હીલર ચાલકો અને રાહદારીઓ રૂમાલ, દુપટ્ટો કે છત્રીનો ઉપયોગ કરીને ગરમીથી બચવાનો પ્રયાસ કરી રહ્યા છે. આરોગ્ય વિભાગ અને હવામાન વિભાગે લોકોને બપોરના સમયે અનાવશ્યક બહાર ન નીકળવાની સલાહ આપી છે.








