નવજીવન ન્યૂઝ.ગીર સોમનાથઃ ગીર અને બૃહદ્ ગીર વિસ્તારમાં કાર્યરત ફોરેસ્ટ ટ્રેકર્સ માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. રાજ્યસભાના સાંસદ અને વન્યજીવ પ્રેમી પરિમલ નથવાણીના સહયોગથી આશરે 220 જેટલા ફોરેસ્ટ ટ્રેકર્સને અકસ્માત વીમા અને મેડિક્લેઇમનું સુરક્ષા કવચ આપવામાં આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ, ગીર વન વિભાગ, ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટી અને ન્યૂ ઈન્ડિયા એશ્યોરેન્સના સહયોગથી આ યોજના અમલમાં મૂકવામાં આવી છે.
આ યોજના હેઠળ ફોરેસ્ટ ટ્રેકર્સને રૂ. 3 લાખથી લઈને રૂ. 10 લાખ સુધીનું વીમા કવચ આપવામાં આવ્યું છે. વીમા સંબંધિત સંપૂર્ણ માહિતી આપવા માટે 16 અને 17 મે 2026 દરમિયાન સાસણ ગીર ખાતે સિંહ સદનમાં બે દિવસીય કાર્યશિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
અકસ્માત વીમા હેઠળ જો ટ્રેકરનું અકસ્માતમાં મૃત્યુ થાય તો તેમના પરિવારને રૂ. 10 લાખ સુધીનું વળતર આપવામાં આવશે. ઉપરાંત બાળકોના શિક્ષણ માટે પણ સહાયની જોગવાઈ કરવામાં આવી છે. એક બાળક માટે રૂ. 25 હજાર અને બે બાળકો માટે મહત્તમ રૂ. 50 હજાર સુધીની સહાય મળશે.
જો અકસ્માતમાં કાયમી અપંગતા થાય અથવા અંગ ગુમાવવાનો બનાવ બને તો વીમા કંપનીના નિયમો મુજબ વળતર ચૂકવવામાં આવશે. મેડિકલ ખર્ચ, રજાનું વળતર અને પાર્થિવ દેહના પરિવહન ખર્ચ જેવી જોગવાઈઓ પણ સામેલ કરવામાં આવી છે.
મેડિક્લેઇમ હેઠળ ટ્રેકર્સને રૂ. 3 લાખ સુધીની સારવાર સહાય મળશે. જેમાં સર્જરી, રૂમ ચાર્જ, ડોક્ટરની ફી, ટેસ્ટ અને દવાઓનો ખર્ચ આવરી લેવામાં આવ્યો છે. સાથે 30 દિવસના પ્રિ-હોસ્પિટલાઇઝેશન અને 60 દિવસના પોસ્ટ-હોસ્પિટલાઇઝેશન ખર્ચ પણ આવરી લેવાયા છે.
પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે ટ્રેકર્સ વન્યજીવોના સંરક્ષણમાં ખૂબ જ જોખમી કામગીરી બજાવે છે, ખાસ કરીને ઘાયલ પ્રાણીઓના રેસ્ક્યુ અને હ્યુમન-એનિમલ કોન્ફ્લિક્ટ દરમિયાન.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આગામી 10 વર્ષ સુધી અકસ્માત વીમાના પ્રિમિયમ માટે તેઓ વ્યક્તિગત રીતે અથવા તેમના ટ્રસ્ટ મારફતે યોગદાન આપતા રહેશે.
કાર્યશિબિરમાં મુખ્ય વનસંરક્ષક રામ રતન નાલા, નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસ અને પ્રશાંત તોમર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.








