નવજીવન ન્યૂઝ, ડેસ્ક : આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) નો છેડો ફાડીને BJP માં સામેલ થયેલા રાજ્યસભાના સાંસદોના મુદ્દે રાજકીય તડાફડી શરૂ થઈ ગઈ છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી અને આપના સાંસદ હરભજન સિંહ (Former cricketer Harbhajan Singh MP) સહિતના નેતાઓ સામે ગુસ્સે ભરાયેલા કાર્યકરો રોડ પર ઉતરી આવી કાળી પટ્ટી બાંધીને વિરોધ પ્રદર્શન કર્યું છે. જલંધર ખાતેના હરભજન સિંહના નિવાસસ્થાનની બહાર અજાણ્યા શખસોએ કાળા રંગથી ગદ્દાર લખીને વિરોધ નોંધાવ્યો છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને (Bhagwant Mann Punjab CM) કહ્યું છે કે, ભાજપ પ્રાદેશિક પક્ષોને ગળી જનારો પક્ષ છે. આ ઘટનાક્રમ પર ચંદીગઢમાં પ્રેસ કોન્ફરન્સ યોજી મુખ્યમંત્રી ભગવંત માને ભાજપ અને પક્ષ છોડનારા નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. માને કહ્યું કે આ નેતાઓએ માત્ર પાર્ટી સાથે જ નહીં, પણ પંજાબની જનતાના વિશ્વાસ સાથે દ્રોહ કર્યો છે. તેમણે ઉમેર્યું કે, 6-7 લોકોના જવાથી ન તો પંજાબ બદલાશે, ન તો આમ આદમી પાર્ટી નબળી પડશે. ભાજપને ‘બંદે ખાની પાર્ટી‘ (માણસ ખાનારી પાર્ટી) ગણાવતા આરોપ લગાવ્યો કે ભાજપ ડર, લાલચ અને દબાણની રાજનીતિ કરી પ્રાદેશિક પક્ષોને ખતમ કરવા માંગે છે. તેમણે ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર અને મમતા બેનર્જીના ઉદાહરણો આપી ભાજપ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા.








