નવજીવન ન્યૂઝ, નવી દિલ્હી : ઈરાન-અમેરિકા યુદ્ધ ના કારણે (Iran-US War Impact) વિશ્વભમાં ક્રૂડ ઑઈલના સપ્લાય પર અનેક ગંભીર અસરો પડી છે. આ જ કારણોસર આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઑઈલમાં ભાવ વધારો થયો છે. ભારતની ઑઈલ કંપનીઓ નુકસાનમાં હોવાના અહેવાલો બાદ સોશિયલ મીડિયા પર પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. જો કે, કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે (Ministry of Petroleum and Natural Gas) સ્પષ્ટતા કરી છે કે ભાવ વધારાના અહેવાલો તદ્દન ખોટા અને પાયાવિહોણા છે.
ચૂંટણીઓ બાદ કેન્દ્ર સરકાર ઇંધણમાં ભાવ વધારો કરશે (Government News on Fuel Prices) તેવી માહિતી સોશિયલ મીડિયામાં સતત ફરી રહી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને લઈને ચાલી રહેલી ચર્ચાઓ પર કેન્દ્ર સરકારે પૂર્ણવિરામ મૂકી દીધું છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના જણાવ્યા અનુસાર, સરકાર પાસે અત્યારે ઇંધણના ભાવ વધારવા માટેનો આવો કોઈ જ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી. આ અંગે મંત્રાલયે ‘X’ પર જણાવ્યું હતું કે, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના અહેવાલો માત્ર ‘ફેક ન્યૂઝ’ (Petrol Diesel Price Hike Fake News) છે. આવા સમાચાર જાણીજોઈને લોકોમાં ડર અને ગભરાટ ફેલાવવાના હેતુથી ફેલાવવામાં આવી રહ્યા છે, જે સંપૂર્ણપણે ગેરમાર્ગે દોરનારા છે. મંત્રાલયે નાગરિકોને અપીલ કરી છે કે આવા ભ્રામક સમાચારો પર વિશ્વાસ ન કરવો.








