- ખાંડ, ચોખા, સોયાબીન, પામોઈલ, મકાઈ, ખાતરનાં ભાવ અસ્તવ્યસ્ત થતા નાગરિક જીવન દોહીલું બનશે
- વાવણી પહેલા જ કાચામાલના ભાવ વધી ગયા જેની અસર પુરવઠા વિતરણ અને કોમોડીટ ભાવ વધારો જેવા આંકડામાં વ્યક્ત થઇ રહ્યા છે
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): કોમોડીટી બજારમાં વધુ મોટી ઉથલપાથલ સર્જવાનો એક નવો ફંડામેન્ટલ પેસિફિક મહાસાગરમાં ઉદ્ભવી રહ્યો છે, નામ છે અલ-નીનો. અલ-નીનોનું અર્થતંત્રનાં સુક્ષ્મ સ્તરે કેવી અસર ઉપજશે, તેનો અભ્યાસ અને માપ કાઢવાના પ્રયાસો આરંભાઈ ચુક્યા છે. મુખ્ય ચેનલ છે કોમોડીટી, ખાસ કરીને અનાજ. બજાર અત્યારે ઉર્જા ફુગાવો, ભૂરાજકીય જોખમ, અને સેન્ટ્રલ બેન્કોની અસમંજસતાની ભારે અસરમાંથી પસાર થઇ રહી છે. માથે હવામાનની અસ્તવ્યસ્તતા અનાજની ગુણવત્તા નબળી પડવી, અનાજની લણણી ઓછી થવી, વાહન વ્યવહાર ધીમો પડવો, અને પુરવઠા ઘટાડો જેવા ફંડામન્ટલ્સ, કૃષિબજારમાં ભાવો પર સૌથી પહેલા પ્રત્યાઘાત આપશે. વાવણી પહેલા જ કાચામાલના ભાવ વધી ગયા છે, જેની અસર પુરવઠા વિતરણ, અને કોમોડીટીનો ભાવ વધારો, જેવા આંકડામાં વ્યક્ત થઇ રહ્યા છે. અનાજનો ઉંચો ફૂગાવાદર, કરન્સી બજારની નબળાઈ, આયાતને મોંઘી બનાવતા, સેન્ટ્રલ બેંકો પાસે વ્યાજવૃદ્ધિની માર્યાદિત શક્યતા રહેશે.
જુલાઈના આરંભે જ નેશનલ ઓસનિક એન્ડ એટમોસ્ફીયરિક એડ્મીનીસ્ટ્રેશન સંસ્થાએ પેસિફિક મહાસાગરમાં અલ-નીનોની ભરપુર શક્યતાની આગાહી કરી દીધી હતી. હોર્મુઝ્ની ખાડીમાંથી ઉદ્ભવેલ વર્તમાન ઊંચા એનર્જી ભાવ અને હવે અલ-નિનો કોમોડીટી, ભાવ અને ફુગાવા પર બીજો ઘાતક હુમલો કરશે. ઉભરતા અર્થતંત્રો માટે તો અનાજના ભાવ પર બમણું જોખમ ઉભું કરશે. આ ઘટનાની અસર ભારતમાં સપ્ટેમ્બર મહિનામાં વ્યાપકપ્રમાણમાં જોવા મળશે. હવામાનની આવી ઘોર અસર જોતા પ્રાથમિક અનુમાનો સુચવે છે કે, છેલ્લા એક દાયકાની આ ઘાતક વિડંબણા હશે. અમેરિકન ફેડરલ રીઝર્વ અને અન્ય સેન્ટ્રલ બેન્કોનો અભ્યાસ કહે છે કે ઈએનએસઓ (અલ-નીનો સધર્ન ઓસીલેશન) સાયકલ સાથે સંકળાયેલ કોમોડીટી ભાવ ફુગાવા વધઘટ ૨૦ ટકા જેટલી માપવામાં આવી છે.
આ સાયકલે કોમોડીટી ભાવ ફુગાવા પર ઐતિહાસિક અસર ઉભી કરી છે. સામાન્ય રીતે અલ-નીનોની કોમોડીટી ભાવ વૃદ્ધિ પર ત્રણ ટકા જેવી મામુલી અસર, છથી બાર મહિના દરમિયાન જોવા મળતી હોય છે, તેમાં પણ સૌથી વધુ અસર અનાજ પર જોવા મળે છે. આ અભ્યાસમાં એવા પુરાવા મળ્યા છે કે જાગતિક બિન-ઉર્જા કોમોડીટીના ભાવ છથી સોળ મહિના દરમિયાન પાંચ ટકા વધ્યા હતા. સૌથી વધુ અસર ખાંડના ભાવ પર પડી હતી. નબળા ચોમાસે ભારત અને થાઈલેન્ડમાં ખાંડના ભાવ વધતા હોય છે. પણ ભારત ૩૦થી ૪૦ લાખ ટન ખાંડને ઇથેનોલ ઉત્પાદનમાં લઇ જતી અટકાવીને, ઉત્પાદન ઘટની ભાવ પર અસર હળવી કરવામાં સક્ષમ રહે છે.
ચોખાને પણ ચોમાસા સાથે સીધો સંબંધ છે. નબળા ચોમાસે એશિયાભરમાં ચોખાનું ઉત્પાદન ઘટવાના અનુમાન પર ભાવ અને ખોરાક અસલામતી બન્ને વધતા જોવા મળે છે. અલબત્ત મક્કાઈ પર અલ-નીનોને બદલે સ્થાનિક હવામાન વધુ અસર કરતુ હોય છે. કેટલાંક સુકા હવામાનવાળા પ્રદેશમાં ભાવને ટેકો મળે છે, પણ અન્ય વિસ્તારનું સારું હવામાન, વાવેતર સંભાવનાઓ વધારી દેતું હોય છે. સોયાબીનની વાત કરીએ તો, અલ-નીનો ભારતના કેટલાક ક્ષેત્રોમાં સમસ્યા પેદા કરે છે, પરંતુ બ્રાઝીલ અને આર્જેન્ટીનામા વધારે વરસાદ વિક્રમ ઉત્પાદન લાણે છે. આને લીધે સોયાબીન વેપાર, પામતેલ કરતા વધુ સરળ બની જાય છે. ચોમાસુ અને હોર્મુઝ ખાડીએ ખાતર ઉત્પાદકને માલામાલ કરી દીધા છે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)








