નવજીવન ન્યૂઝ.નવી દિલ્હી: દિલ્હી પોલીસે એક મોટી કાર્યવાહી કરીને રાજધાની સહિત દેશના વિવિધ શહેરોમાં આતંકી હુમલાના કથિત ષડયંત્રને નિષ્ફળ બનાવી હોવાનો દાવો કર્યો છે. પોલીસ દ્વારા પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવતા 9 શંકાસ્પદ એજન્ટોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા શખ્સોમાં દિલ્હી, મુંબઈ અને પંજાબ સાથે સંકળાયેલા લોકોનો સમાવેશ થાય છે, જ્યારે કેટલાક વિદેશી નાગરિકો પણ હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, આ શંકાસ્પદ લોકો દેશના મહત્વના અને સંવેદનશીલ સ્થળોને નિશાન બનાવી હુમલાની યોજના ઘડી રહ્યા હતા. તપાસ દરમિયાન તેમની પાસેથી મોટી માત્રામાં હથિયારો, ગ્રેનેડ અને વિસ્ફોટક સામગ્રી જપ્ત કરવામાં આવી હોવાનું જણાવાયું છે. પોલીસના પ્રાથમિક દાવા મુજબ, કેટલાક વિસ્ફોટકો પાકિસ્તાનથી મોકલવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે.
તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, પાવર પ્લાન્ટ, ન્યુક્લિયર પ્લાન્ટ, એરપોર્ટ, રેલવે સ્ટેશન અને વીજ મથકો જેવા સ્થળો સંભવિત નિશાના પર હતા. આ સ્થળોએ મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોવાથી સુરક્ષા એજન્સીઓએ સમયસર કાર્યવાહી કરીને મોટી દુર્ઘટના ટાળી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
પોલીસ હાલ તમામ આરોપીઓની પૂછપરછ કરી રહી છે અને તેમની સાથે સંકળાયેલા અન્ય લોકો, નાણાંકીય વ્યવહારો તેમજ નેટવર્કના અન્ય પાસાઓની તપાસ શરૂ કરવામાં આવી છે. સાથે જ આ નેટવર્કના તાર દેશના અન્ય રાજ્યો સુધી જોડાયેલા છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.








