Delhi Bus Rape Case: દિલ્હી-NCRમાં ફરી એકવાર મહિલાઓની સુરક્ષા પર સવાલો ઉભા કરતો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગ્રેટર નોઈડાથી કાશ્મીરી ગેટ સુધી આશરે 47 કિલોમીટરનો પ્રવાસ કરનારી બસમાં એક સગીરા સાથે દુષ્કર્મ થયાનો આરોપ છે. ઘટનામાં બસના ડ્રાઈવર અને કંડક્ટરની સંડોવણી સામે આવી છે. પોલીસે બંને આરોપીઓને તિમારપુરમાંથી ઝડપી લીધા છે.
આ ઘટના 4 ઓગસ્ટની હોવાનું સામે આવ્યું છે. 11મા ધોરણમાં અભ્યાસ કરતી મૈનપુરીની એક સગીરા કોઈ બાબતે પરિવારથી નારાજ થઈને કોઈને જાણ કર્યા વગર ઘરેથી નીકળી હતી. તે નોઈડામાં રહેતા પોતાના પિતરાઈ ભાઈ પાસે જઈ રહી હતી. ભારે વરસાદ અને અંધારાના કારણે તે પોતાના ગંતવ્ય સુધી પહોંચવાને બદલે પરી ચોક પર ઉતરી ગઈ હતી.
આ દરમિયાન એક ખાલી સ્લીપર બસ ત્યાંથી પસાર થઈ રહી હતી. સગીરાએ બસને રોકવાનો ઈશારો કર્યો હતો. બસમાં રહેલા કંડક્ટરે તેને નોઈડા સેક્ટર-63 સુધી ઉતારી દેવાની વાત કહી હતી. આરોપ છે કે બસ આગળ વધ્યા બાદ કંડક્ટરે સગીરા સાથે અશ્લીલ હરકતો શરૂ કરી હતી. ત્યારબાદ ડ્રાઈવર અને કંડક્ટરે તેની સાથે દુષ્કર્મ કર્યું હોવાનો આરોપ છે. સગીરાએ વિરોધ કરતાં તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
આરોપીઓ સગીરાને મોડી રાત્રે કાશ્મીરી ગેટ બસ અડ્ડા નજીક રિંગ રોડ પર ઉતારીને ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત હાલતમાં સગીરાએ પોલીસનો સંપર્ક કરી સમગ્ર ઘટનાની જાણ કરી હતી. માહિતી મળતાં પોલીસે તપાસ શરૂ કરી અને CCTV ફૂટેજના આધારે બંને આરોપીઓને તિમારપુર બસ પાર્કિંગમાંથી ઝડપી લીધા હતા.
પોલીસના જણાવ્યા મુજબ, બસમાં ખરાબી સર્જાતા બંને આરોપીઓ તેને સૂરજપુરની વર્કશોપમાં રિપેરિંગ માટે લઈ ગયા હતા. ત્યારબાદ ખાલી બસને તિમારપુર લઈ જવામાં આવી રહી હતી. આ દરમિયાન પરી ચોક પર સગીરા તેમને મળી હતી. પરી ચોકથી કાશ્મીરી ગેટ સુધી બસે આશરે 47 કિલોમીટરનું અંતર કાપ્યું હતું.
બસની બારીઓ પર ગાઢ રંગના પડદા લગાવવામાં આવ્યા હતા. જેના કારણે રસ્તા પરથી પસાર થતા લોકોને બસની અંદર શું થઈ રહ્યું હતું તેની જાણ થઈ શકી નહોતી. પોલીસ તપાસ મુજબ આ સમગ્ર માર્ગ દરમિયાન આરોપીઓને કોઈ પોલીસ ચેકિંગનો સામનો પણ કરવો પડ્યો નહોતો.
ઘટનાની જાણ થતાં પોલીસે સગીરાના પરિવારજનોને દિલ્હી બોલાવ્યા હતા અને બાદમાં તેને પરિવારજનોને સોંપવામાં આવી હતી. હાલમાં પોલીસે બસની ફોરેન્સિક તપાસ શરૂ કરી છે અને ઘટનાને લગતા અન્ય પુરાવા પણ એકત્ર કરવામાં આવી રહ્યા છે.
આ ઘટના બાદ દિલ્હી-NCRમાં કમર્શિયલ બસોમાં સુરક્ષાના નિયમોના અમલ સામે પણ ગંભીર સવાલો ઉભા થયા છે. દિલ્હી-NCRમાં ડ્રાઈવર અને કંડક્ટરનું પોલીસ વેરિફિકેશન તથા યુનિફોર્મ પર નેમ પ્લેટ હોવી જરૂરી છે. બસમાં અંદરની વિઝિબિલિટી રોકતા પડદા અથવા અન્ય વ્યવસ્થા પર પણ નિયંત્રણ છે.
આ ઉપરાંત કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક મદદ મેળવવા માટે બસમાં પેનિક બટન અને કંટ્રોલ રૂમ સાથે કનેક્શનની વ્યવસ્થા હોવી જરૂરી છે. બસોમાં CCTV કેમેરા લગાવવાની પણ લાંબા સમયથી વાત થઈ રહી છે, જ્યારે બસની લાઈવ લોકેશન ટ્રેકિંગ માટે GPS સિસ્ટમ પણ જરૂરી માનવામાં આવે છે. જોકે, આ ઘટનાએ આ નિયમોનો વાસ્તવિક અમલ કેટલો થાય છે તેના પર ફરી સવાલ ઊભા કર્યા છે.








