નવજીવન ન્યૂઝ. દાહોદ: આપણાં વડાપ્રધાન ભારતને વિશ્વગુરૂ બનાવવાની વાત તો કરે છે, પરંતુ આપણાં દેશમાં જ ઘણા બધા અંતરિયાળ ગામડાઓ એવા છે જ્યાં હજુ સુધી વર્ષોથી ચાલી આવતા કુરિવાજોની પ્રથા આજે પણ ચાલી રહી છે. આજના સમયે શહેરી વિસ્તારોમાં રહેતા લોકોની માનસિકતા તો કેટલાક અંશે આધુનિક થઈ છે, પરંતુ કેટલાક ગામડાઓમાં આજે પણ કુરિવાજો યથાવત છે. આ કુરિવાજો પૈકી એક છે બાળલગ્ન. આવા જ એક બાળલગ્નની ઘટના દાહોદમાં સામે આવી છે. દાહોદના નવાગામમાં એક બાળલગ્ન ચાલી રહ્યું હતું તે જ સમયે બાળ સુરક્ષા અને પોલીસની ટીમ ત્યાં આવી પહોંચી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નવા ગામ ખાતે સગીર વયના બાળકોના બાળલગ્ન થઈ રહ્યા હતા. જે અંગેની જાણ દાહોદ બાળ સુરક્ષાની ટીમને થઈ હતી. જેના અધારે બાળ સુરક્ષાની ટીમ બાતમીના અધારે ગરબાડા પોલીસને સાથે રાખી બાળલગ્નના સ્થળ પર ત્રાટકી હતી. તે દરમિયાન વરરાજાની જાન પણ આવી ગઈ હતી. બાળલગ્નમાં પોલીસની એન્ટ્રીના કારણે જાનૈયાઓ સહિત બાળલગ્ન સામેલ લોકોમાં નાસભાગ મચી હતી. સો પ્રથમ બાળ સુરક્ષા વિભાગની ટીમે બાળલગ્ન અટકાવ્યા હતા અને વરરાજાની સાથે જાન પરત મોકલી હતી. તેમજ પોલીસે બાળલગ્નને લઈ બંને પક્ષના માત-પિતાની અટકાયત કરી કાર્યવાહી હાથધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દાહોદ જિલ્લો આદિવાસી વિસ્તાર હોવાથી હજુ પણ ત્યાં કેટલાક સમાજમાં બાળલગ્ન જેવી કુપ્રથાઓ જીવંત જોવા મળી રહી છે. પોલીસે બાળકોના માતા-પિતાને સમજાવી બાળલગ્ન રદ કરાવ્યા હતા અને આ કુરિવાજોના દૂષણોથી બચવા અને અન્ય લોકોને પણ જાગૃત કરવા અપીલ કરી છે.
થોડા સમય અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા યુવતીઓના લગ્ન માટેની ઉંમર 18 વધારીને 21 વર્ષ ફરજીયાત કરી હતી. જેમાં 21 વર્ષથી નીચે લગ્ન માન્ય ગણાશે નહીં તેવો કાયદો લાવવામાં આવ્યો છે. યુવતીઓને નાની વયે માત બની જતા તેમજ કુપોષણને શિકાર બનાવાની ઘટનાને લઈ કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો હતો.








