નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ ગુજરાત અને છત્તીસગઢ સરકારે પોતાના રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનું એલાન કર્યું છે. છત્તીસગઢમાં પાંચ અને ગુજરાતમાં 3 ટકા મોંઘવારી ભથ્થું વધારવામાં આવ્યું છે. છત્તીસગઢ સરકારે રવિવારે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસના અવસર પર સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં પાંચ ટકાનો વધારો કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે ટ્વિટર દ્વારા રાજ્ય સરકારના આ નિર્ણયની જાહેરાત કરી હતી.
તેમજ 1 મે એ ગુજરાત સ્થાપના દિવસ પણ છે. આ દિવસ ગુજરાતના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે ભેટ લઈને આવ્યો. આ અવસર પર ગુજરાત સરકારે પણ તેના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી છે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે હિન્દીમાં એક ટ્વિટ કર્યું છે. જેમાં તેમણે લખ્યું છે કે, “આજે અમે કર્મચારીઓના હિતમાં મોટો નિર્ણય લીધો છે. હું સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં પાંચ ટકા વધારાની જાહેરાત કરું છું. આ દર આજથી 1 મેથી લાગુ થશે.” રાજ્ય સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું, જે અત્યાર સુધી 17 ટકા હતું, તે પગાર વધારા બાદ 22 ટકા પર પહોંચી ગયું છે.
આ સાથે જ ગુજરાત સરકારે તેના કર્મચારીઓને મોટી ભેટ આપી છે. ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના ડીએમાં 3 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. આ વર્ષે 1 જુલાઈથી ડીએનો લાભ મળશે.








