નવજીવન ન્યૂઝ.વડોદરાઃ ડોર ટુ ડોર કચરો લઈ જવાની યોજનામાં અનિયમિતતાની ફરિયાદો થઈ રહી છે. સુભાનપુરામાં ડોર ટુ ડોર વાહનોની અનિયમિતતનાની ફરિયાદને પગલે વોર્ડ 11ના કાઉન્સિલર-દંડકનો ઉદ્ધત જવાબ એક મહિલાને મળ્યો છે. હાલમાં જ 15 નંબરના વોર્ડના ભાજપ કોર્પોરેટરે વાહનોનું કૌભાંડ ખુલ્લું પાડ્યુ હતું. ત્યારે બીજી બાજુ આવી સ્થિતિ જોવા મળી રહી છે.
સુભાનપુરા સોવાશ્રમ સોસાયટીની એક મહિલાને ભાજપ નેતાનો કડવો જવાબ સાંભળવાનો થયો હતો. બે મહિનાથી ડોર ટુ ડોરના વાહનો અહીં અનિયમિત હોવાની સ્થાનીકોની રાવ છે ત્યારે ગુરુવારે કાઉન્સિલર ચિરાગ બારોટને કોલ પર આ અનિયમિતતા અંગે જાણ કરવામાં આવી ત્યારે કહેવામાં આવ્યું કે બે દિવસથી કચરાનું વાહન આવ્યું નથી અને તેના કારણે બીમારી ફેલાય તેમ છે. જેના જવાબમાં ચિરાગ બારોટે કહ્યું કે, તો અમે શું કરીએ, બે દિવસ કચરો સંગ્રહાતો નથી?ઉલ્લેખનીય છે કે હાલમાં જ ભાજપ નેતા આશિષ જોષીએ ડોર ટુ ડોર વાહનોના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.
આ મામલે ચિરાગ બારોટનું કહેવું છે કે, મને કોલ આવ્યા પછી મેં વોર્ડ ઓફીસમાં જાણ કરી દીધી હતી. સાંજે કચરો ઉપાડાવ્યો હતો. એ બહેને એક જ વાત કર્યા કરી કે બે દિવસથી કચરો નથી લેવાયો. અમે ગાડીની વ્યવસ્થા કરી છે. આ સોસાયટીના મેઘાબેન પટેલનું કહેવું છે કે, અમે વાહનોની અનિયમિતતા અંગે કહીએ છીએ તો ડ્રાઈવર અમારી મજાક ઉડાવે છે, ક્યારેક સવારે, ક્યારેક સાંજે તો ક્યારેક બપોરે મન ફાવે ત્યારે વાહનો લઈને આવે છે.








