નવજીવન ન્યૂઝ. બેંગ્લોરઃ બેંગ્લોરમાં ટ્રાફિકમાં ફસાયેલા એક ડોક્ટરે દર્દીનો જીવ બચાવવા માટે કાર રસ્તા પર છોડી દીધી અને ત્રણ કિલોમીટર સુધી દોડીને હોસ્પિટલ પહોંચ્યો. અહીં ડોક્ટરે દર્દીની સફળ સર્જરી કરી હતી. ડો. ગોવિંદ નંદકુમાર ગેસ્ટ્રોએન્ટેરોલોજી સર્જન છે. તે સરજાપુરની મણિપાલ હોસ્પિટલમાં ઈમરજન્સી લેપ્રોસ્કોપિક પિત્તાશયની સર્જરી કરાવવા જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં ટ્રાફિકજામમાં ફસાયા હતા.
ડો. ગોવિંદને લાગ્યું ટ્રાફિકના કારણે તેમને ધણુ મોડું થઈ રહ્યું હતું. તેમણે ગૂગલ મેપ્સ તપાસ્યા, જેમાં જાણવા મળ્યું કે તેમને તેના ગંતવ્ય સુધી પહોંચવામાં વધુ 45 મિનિટ લાગશે. આ પછી ડોક્ટર કારમાંથી નીચે ઉતર્યા અને સરજાપુર-મરાઠાહલ્લી સેક્શનથી હોસ્પિટલ સુધી દોડીને મુસાફરી પૂરી કરી. તે દિવસે તેમણે ડ્રાઈવરને સવારે 10 વાગ્યે નિર્ધારિત સર્જરી માટે સમયસર હોસ્પિટલ પહોંચવાની સૂચના આપી હતી. પરંતુ આવું ન થયું. રસ્તા વચ્ચેથી ડૉક્ટર દોડીને હોસ્પિટલ પહોંચ્યા અને સર્જરી સફળતાપૂર્વક પૂરી કરી.
ડૉક્ટર ગોવિંદા નંદકુમારે જણાવ્યું કે, હું ટ્રાફિક જામમાં ફસાઈ ગયો હતો. મને ચિંતા હતી કે સર્જરીમાં વિલંબ થશે. બીજો કોઈ વિકલ્પ ન હોવાથી મેં ગૂગલ મેપ્સનો સહારો લઈ ટ્રાફિકનો તાગ મેળવ્યો. હું કારમાંથી ઉતર્યો અને સરજાપુર-મરાઠાહલ્લી રૂટ પર દોડીને બાકીની મુસાફરી પુરી કરવાનું નક્કી કર્યું. મારા માટે દોડવું સરળ હતું કારણ કે હું નિયમિત જીમ કરું છું. હું હોસ્પિટલ સુધી 3 કિમી દોડ્યો અને સમયસર સર્જરી કરી.








