જયંત દાફડા (નવજીવન.અમદાવાદ): ભારતમાં પ્રથમ વખત શરૂ થયેલી અમદાવાદથી કેવડીયા કોલોની સી પ્લેન સર્વિસ ફરી એકવાર શરૂ કરવાના સંકેત આપતા ઉડાયન મંત્રીએ સી-પ્લેન વિશે જણાવ્યુ હતું કે, આગામી સમયમાં ફરીથી સી-પ્લેન સર્વિસ શરૂ કરવામાં આવશે.
ગઇકાલે હેલિકોપ્ટર જોય રાઇડ્સના ઉદ્દઘાટનમાં આવેલા રોડ રસ્તા અને ઉડાયન મંત્રી પૂર્ણેશ મોદીને સી પ્લેન મુદ્દે પૂછાયેલા સવાલમાં મંત્રીએ ટેન્ડર પ્રક્રિયા ગણાવી એક વર્ષથી બંધ પડેલા સી-પ્લેન અંગે સરકારનો બચાવ કર્યો હતો.
સી-પ્લેન સર્વિસ 2020માં નરેન્દ્ર મોદીના હસ્તે શરૂ કરવામાં આવી હતી. જો કે સી-પ્લેનને અનેક વખત મેઇન્ટેનન્સ માટે માલદિવ્સ મોકલવામાં આવતું હતું જેના કારણે લાંબા સમય સુધી સી-પ્લેન સર્વિસ બંધ રહેતી હતી. જો કે છેલ્લા એક વર્ષથી સી-પ્લેન સર્વિસ બંધ છે. લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલું એરોડ્રામ અને જેટી ધૂળ ખાઈ રહ્યું છે. સી-પ્લેન અત્યાર સુધી કઈ જગ્યાએ હતું તેની જાણકારી સાબરમતી સ્થિત એરોડ્રામના અધિકારીથી લઈને સ્પાઇસ શટર પાસે પણ ન હતી. ઉપરાંત કરોડોના ખર્ચના અંતે 50 વર્ષ જૂનું સી-પ્લેન હોવાના કારણે લોકો મુસાફરી કરવા માટે ખચકાટ અનુભવી રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે અગાઉ ચૂંટણીના માહોલ વચ્ચે સી-પ્લેન અમદાવાદમાં શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે ફરીથી ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ફરી એકવાર સી-પ્લેન શરૂ કરવામાં આવી રહ્યું છે. ત્યારે લોક મુખે ચર્ચાઇ રહ્યું છે કે ચૂંટણી સમયે લોકોને આકર્ષવા માટે થઈને ફરીથી સી-પ્લેન શરૂ કરવામાં આવી રહ્યું છે, પરંતુ અહીંયા એ પણ જાણવું જરુરી છે કે ચૂંટણીને હજુ ઘણી વાર છે, ત્યારે હવે એ જોવાનું રહ્યું કે ટેન્ડર પ્રક્રિયા બાદ પણ મોંઘીદાટ ટિકિટ ખર્ચીને મુસાફરોને વર્ષો જૂનું જ સી-પ્લેનમાં મુસાફરી કરવા મળશે કે નવા આધુનિક સી-પ્લેનમાં મુસાફરી કરવા મળશે તે એક ચર્ચાનો વિષય બન્યો છે.
![]() |
![]() |
![]() |











