પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટના પોલીસ કમિશનરને આદેશ આપ્યો છે કે, સપ્તાહમાં બે વખત તેમણે જાતે સવારના સમયે ફૂટ પેટ્રોલિંગ કરવું પડશે, કારણ પ્રજાની સમસ્યાઓ જાણવા જ્યાં સુધી ખુદ પોલીસ કમિશનર લોકોની વચ્ચે નહીં જાય ત્યાં સુધી પ્રજાની સમસ્યા સમજાશે નહીં અને તેનો ઉકેલ પણ મળશે નહીં.
ચાર મહાનગરોના પોલીસ કમિશનરને આદેશ આપવામાં આવ્યો છે કે ખાસ કરીને સવારના સમયમાં તેઓ ફૂટ પેટ્રોલિંગ કરે અને ગાર્ડન તથા મોર્નિંગ ટ્રેક હોય ત્યાં જઈ લોકોને મળે જેથી કરીને લોકોની સમસ્યાઓ તમારા સુધી પહોંચે. હર્ષ સંઘવીએ આ ઉપરાંત ઉમેર્યું કે, તમામ પોલીસ કમિશનર્સને તેમણે કરેલી આ અંગેની કામગીરી અને તેના અહેવાલ દર સોમવારે ગૃહમંત્રી સમક્ષ રજુ કરવાનો રહેશે. તેમણે અમદાવાદ પોલીસની કામગીરીને બિરદાવતા કહ્યું હતું કે, જેસીપી ગૌતમ પરમારે પ્રજા પોલીસ સાથે કેવો વ્યવહાર કરે છે તે જાણવાનો જે પ્રયત્ન કર્યો તે પણ આ જ કાર્યક્રમનો હિસ્સો છે.
આ ઉપરાંત સમગ્ર દેશમાં ચાલતા નિર્ભયા પ્રોજેક્ટમાં અમદાવાદે પ્રથમ સ્થાન મેળવ્યું છે, 50 હજાર મહિલાઓના સર્વે પછી મહિલા કેટલી સલામત છે તે જાણવાનો અને તેના ઉકેલની દિશામાં અમદાવાદ પોલીસે કામ શરુ કર્યું છે. ઉલ્લેખનીય છે કે જેસીપી ગૌતમ પરમાર અમદાવાદના બે પોલીસ સ્ટેશનમાં પોતે ડમી ફરિયાદ સાથે પહોંચ્યા હતા જ્યાં તેમની સાથે દુરવ્યવહાર થયો હતો. જેના કારણે તેમને લોકો અને પોલીસ વચ્ચેના આ વ્યવહારોનો સીધી પોતે જ અનુભવ કર્યો હતો. તે પછી આ પોલીસ મથકોના ચાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
![]() |
![]() |
![]() |











