નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદમાં આજે ફરી એકવાર રખડતા ઢોરના કારણે પરિવારનો મોભીનું અવસાન થયું છે. ગુજરાત હાઈકોર્ટની અનેક વાર ટકોર બાદ પણ અમદાવાદમાં તંત્રની નબળી કામગીરીના કારણે એક વ્યક્તિને જીવ ગુમાવવામાં આવ્યો છે. અવાર-નવાર રસ્તા પર રખડતા ઢોરના કારણે અક્સમાત થાય છે તેમ છતાં તંત્ર હજી પણ નિંદ્રામાં છે. મૃતકના પરિવારજનોએ જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના નરોડા વિસ્તારમાં ભાવિન પટેલ બે દિકરી અને પત્ની સાથે પરિવારમાં રહે છે. આજે સવારે ભાવિન પટેલ પત્ની સાથે નરોડા વિસ્તારમાં બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન રસ્તે રખડતાં ઢોરે અડફેટે લીધા હતા. બાઈક પરથી પટકાતા ભાવિનના માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી ઈજાગ્રસ્ત ભાવિનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
સારવાર દરમિયાન સામે આવ્યું હતું કે ભાવિનને બ્રેઈનમાં મલ્ટિપલ હેમરેજ થયું હોવાનું તબીબ રીપોર્ટમાં સામે આવ્યું હતું. જોકે ભાવિનનું હોસ્પિટલમાં જ મોત થતાં પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. પરિવાર દ્વારા જબાવદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા માગ કરી છે. મૃતક ભાવિન પટેલના બહેન મેઘલ અમિનને જણાવ્યું હતું કે, ગાયના કારણે મારા 38 વર્ષના ભાઈનું મોત થયું છે. તેની બે નાની દિકરીઓ છે. હવે તેનું ભરણ પોષણ કોણ કરશે. ગાયના અથડાવાના કારણે અક્સમાત થયો હતો. સરકારને કહો કે રસ્તે રખડતી ગાયને અહીંથી કાઢે.








