નવજીવન ન્યૂઝ.વલસાડઃ વલસાડના જોરાવાસણ રેલવે સ્ટેશન પાસે એક અરેરાટી ભરી ઘટના બની છે. અહીં રેલવે કોરિડોરની કામગીરી ચાલુ છે. જે કામ કરવા માટે નજીકથી શ્રમજીવીઓ પણ આવ્યા છે. આજે એક યુવક પત્ની સાથે ઝઘડો થયા પછી ટ્રેન સામે પડતુ મુકવા ઘરેથી ગુસ્સામાં નીકળ્યો હતો. જોકે તેને બચાવવા આવેલા તેના પિતરાઈભાઈ સહિત બે વ્યક્તિના મોત નિપજ્યા હતા.
અહીં રેલવે કોરિડોરની કામગીરી કેટલાક શ્રમિકો કરી રહ્યા છે જેમણે નજીકમાં જ પડાવ નાખ્યો છે. રેલવે ફાટ પાસે રહેતા એક યુવક પ્રમોદ વિરેન્દ્ર રાજપૂતનો તેની પત્ની સાથે ઝઘડો થયો હતો. જેમાં પ્રમોદ નારાજ થયો હતો. ગુસ્સામાં લાલઘૂમ થઈ તે રેલવે ટ્રેક પર ટ્રેન સામે પડતું મુકી જીવન ટુંકાવવા જઈ રહ્યો હતો. દરમિયાન પ્રમોદનો મામાનો દિકરો પ્રદીપ રાજપૂત તેને બચાવવા દોડ્યો.
આ દરમિયાન મુંબઈથી સુરત તરફ જતી ટ્રેનની તેઓ અડફેટે ચઢી ગયા. જેમાં તે બંને ભાઈનું ગંભીર ઈજા થતાં મોત નિપજ્યું હતું. બનાવની જાણ જોરાવાસણ રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તરને કરવામાં આવતા તાત્કાલીક ડુંગરી પોલીસ સ્થળ પર દોડી આવી હતી. પોલીસે લાશને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે, પ્રદીપ રાજપૂત પ્રમોદને પત્ની સાથે ઝઘડો નહીં કરવા સમજાવતો હતો જોકે પ્રમોદ કોઈનું સાંભળી રહ્યો ન્હોતો. પ્રમોદ જ્યારે ટ્રેન સામે પડતું મુકવા જઈ રહ્યો હતો ત્યારે તેને બચાવવા પ્રદીપ પાછળ દોડ્યો પરંતુ ટ્રેન ત્યાં સુધી આવી ગઈ અને બંને ભાઈઓને અડફેટે લઈ લીધા હતા. પોલીસે અકસ્માતે મોતના ગુના સંદર્ભે કાર્યવાહી હાથ ધરી છે.
![]() |
![]() |
![]() |











