નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ ગુજરાતના વિવિધ સંપ્રદાયના સંતોની અમદાવાદમાં બેઠક મળી હતી. જેમાં દેશભરના મંદિરોમાંથી સરકારી વહીવટ દૂર કરવા મામલે કેન્દ્રીય સ્તરે કાયદો બનાવવાની માગ કરવામાં આવી હતી. તેમની મુખ્ય માગણી હતી કે અંબાજી, સોમનાથ, બહુચરાજી વગેરે જેવા રાજ્યના 32 મંદિરમાંથી સરકારી વહીવટ દુર કરો અને તેમાં આવતા કરોડો રૂપિયાના દાનનો ઉપયોગ માત્ર હિન્દુ સમાજ માટે કરવાની માગ વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી) દ્વારા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ મંદિરોના દાનની રકમ 100 કરોડને પણ આંબી જતી હોય છે, આટલી મોટી રકમનો વહીવટ સરકાર પાસેથી લઈ કોઈ અન્યના હાથમાં આપવો તે કેટલું પારદર્શી રહેશે તે મોટો પ્રશ્ન છે.
વીએચપીની કેન્દ્રીય બેઠકમાં આ મંદિરોના સંચાલનમાં સ્થાનીક વહીવટી તંત્રના હોદ્દેદાર મંદિરના ટ્રસ્ટના મુખ્ય હોદ્દા પર હોવાથી સીધી રીતે સરકારી વહીવટ હોય છે જે સંચાલનની સંપૂર્ણ સત્તા સ્થાનીક સ્થરે સોંપવાની માગ કરવામાં આવી હતી. આ બેઠકમાં આવા કેટલાક મુખ્ય ઠરાવો કરવામાં આવ્યા છે. જેમાં મુખ્ય વાત એ હતી કે વિવિધ મંદિરોમાં સરકારી દરમિયાનગીરી ન રહે અને મંદિરના ફંડ માત્ર હિન્દુ સમાજ માટે જ ઉપયોગમાં લેવાય. આ બેઠકમાં આ ઉપરાંત આ વહીવટ હિન્દુ સમાજના અગ્રણીને સોંપવામાં આવે તેવી પણ માગ કરાઈ છે, હવે અહીં પણ સ્વાભાવિક છે કે સમાજના અગ્રણી તરીકે કોઈનું વોટિંગ તો થતું નથી, તેથી અગ્રણી માનવા કોને તે પણ એક પ્રશ્ન છે. બીજી બાજુ વીહિપે એ પણ મુખ્ય વાત મુકી છે કે રાષ્ટ્રીય સ્તર પર ધર્માંતરણ પ્રવૃત્તિ મુદ્દે કાયદો બનાવવામાં આવે, જે અનુ. જનજાતિના લોકો ધર્મ બદલે છે, પરંતુ ઘણા કિસ્સાઓમાં હિન્દુ તરીકેનો લાભ પણ લે છે, જે બંધ થાય તે મામલે કાયદો ઘડવાની માગ કરી હતી.
![]() |
![]() |
![]() |











