Tamil Nadu Chief Minister orders probe into gas leak incident : તમિલનાડુના તિરુવલ્લુર જિલ્લામાં રવિવારે મોટી દુર્ઘટના સર્જાઈ છે. સેન્ટ પીટર્સ પોલ સીફૂડ પ્રોસેસિંગ એન્ડ એક્સપોર્ટ કંપનીમાં કોઈ કારણસર એમોનિયા ગેસ લીક થતાં દુર્ઘટના (Ammonia Gas Leak) સર્જાઈ છે. ગેસ ગળતરના પગલે ફેક્ટરીમાં ભાગદોડ મચી ગઈ હતી અને ત્યાં હાજર કર્મચારીઓ કફોડી સ્થિતિમાં મુકાઈ ગયા હતા. ગેસ લીકેજના કારણે 7 લોકોના મોત (7 dead due to gas leak) થયા છે. જ્યારે 10થી વધુ લોકોની હાલત ગંભીર છે. 65 જેટલાં કર્મચારીઓને ગેસ ગળતરની અસર થઈ છે. આ ઘટનાના પગલે તામિલનાડુના મુખ્યમંત્રીએ ઘટનાની તપાસના આદેશ આપી દીધા છે. જેના પગલે સ્થાનિક પોલીસે ફરિયાદ નોંધી ફેક્ટરી માલિકોને અટકમાં લઈ તેમની પૂછપરછ આરંભી છે. ઘટનાની ગંભીરતાને જોતા મુખ્યમંત્રીએ સમગ્ર મામલાની તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરી છે. સમિતિને 24 કલાકની અંદર વચગાળાનો અહેવાલ અને ત્રણ દિવસની અંદર વિગતવાર તપાસ અહેવાલ સુપરત કરવા સૂચના આપવામાં આવી છે.
ફેક્ટરીમાં થયેલા ગેસ લીકેજના કારણે અનેક કર્મચારીઓને અસર પહોંચી છે. દુર્ઘટના બની તે ફેક્ટરીમાં પરપ્રાંતીય શ્રમિકો પણ સામેલ છે. ગેસની અસર શરૂ થતાં મોટાભાગના કર્મચારીઓએ શરૂઆતમાં શ્વાસ લેવામાં તકલીફ, ચક્કર આવવા તેમજ બેચેની થવાની ફરિયાદ કરી હતી. આ માહિતી સામે આવતા સ્થાનિક તંત્ર અને ફેક્ટરી સંચાલકોએ રાહત કાર્ય આરંભી અસરગ્રસ્તોને સ્થાનિક હૉસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડ્યા છે. ઘટનાની ગંભીરતાને જોતા ડૉક્ટરોની વિશેષ ટીમે ગંભીર રીતે અસરગ્રસ્ત દર્દીઓની પ્રાથમિક સારવાર કરી હતી. ગંભીર હાલતમાં રહેલા દર્દીઓને એમ્બ્યુલન્સ દ્વારા ચેન્નાઈ સ્થિત હોસ્પિટલ ખાતે ખસેડાયા છે.








