નવજીવન ન્યૂઝ, વડોદરા : વડોદરાના એડવોકેટ સામે લાખો રૂપિયાની ઉચાપત અને ધમકીનો ગંભીર આરોપ NRI એ લગાવ્યા બાદ આ મામલામાં વકીલે અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જમીન NA કરવાની કામગીરીને લઈને વકીલને ધમકી આપીને 5 લાખ પડાવી લીધા હોવાની ફરિયાદ USA માં રહેતા એનઆરઆઈ (Lawyer files complaint against NRI) સામે થઈ છે. વકીલની પુત્રનો ફોટો વાયરલ કરવાની NRI એ ધમકી આપી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
ઑક્ટોબર-2025માં વકીલ મનીષચંદ્ર દીક્ષિત (ઉ. 59 રહે. વડોદરા)નો પરિચય NRI રાકેશ અરવિંદભાઈ નાયક સાથે થયો હતો. નર્મદા કિનારે જગ્યા લેવાની હોવાથી વકીલે કરજણ તાલુકાના કોઠીયા ગામે આવેલી જમીન બતાવી હતી. જેની ડીલ નક્કી થતાં રાકેશ નાયક NRI હોવાથી તેમણે ખેતીની જમીન ખરીદવા માટે જરૂરી કાયદેસરની પ્રક્રિયા, બિનખેતી પરવાનગી સહિતની કાર્યવાહી અંગે વકીલ પાસે માર્ગદર્શન માગ્યું હતું. જમીન સંબંધિત તમામ કાર્યવાહી સમયમર્યાદામાં પૂર્ણ કરી દેવાતા નક્કી કરાયેલી ફી રાકેશ નાયકે વકીલને ચૂકવી દીધી હતી. દરમિયાન ગત 15 ડિસેમ્બરના રોજ રાકેશ નાયક કેટલાંક લોકો સાથે મનીષભાઈની ઓફિસે પહોંચ્યા હતા અને વધુ રૂપિયા પડાવી લીધા છે તેવો આરોપ લગાવી ઝઘડો કર્યો હતો. રાકેશ નાયકે વારંવાર ઓફિસે જઈને વકીલને બદનામ કરવાની ધમકી આપી રૂપિયા 5 લાખ પડાવી લીધા હતા. આ મામલે અકોટ પોલીસ સ્ટેશન (Akota Police Station) માં ફરિયાદ નોંધાઈ છે.








