નવજીવન ન્યૂઝ, ડેસ્ક : અમરેલી, ગીર સોમનાથ,અને જૂનાગઢ સિંહોનો ગઢ ગણાય છે. અમરેલી જિલ્લામાં આવેલા રાજુલાના દાંતરડી ગામ પાસે અજાણ્યા વાહનને સિંહબાળને અડફેટે લેતા તેનું મોત (Lion Dies in Road Accident Amreli) નિપજ્યું હતું. ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર બનેલી આ ઘટના બાદ વન વિભાગે તપાસ આરંભી જવાબદાર વાહનચાલકની અટકાયતમાં લીધો છે.
રાજુલાના દાંતરડી ગામ નજીકથી પસાર થતા ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર મોડી રાત્રે એકાદ વર્ષનું સિંહબાળ રોડ ઓળંગી રહ્યું હતું. આ દરમિયાન હાઈવે પર ગતિમાં આવી રહેલા અજાણ્યા વાહનની ટક્કર વાગવાથી સિંહબાળનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. વન વિભાગે ફરાર વાહન ચાલકની તપાસ આરંભી તેને ઝડપી પાડ્યો છે. અત્રે નોંધનીય છે કે, નેશનલ હાઈવે સિંહોની હિલચાલ માટે ખૂબ જ સંવદેનશીલ માનવામાં આવે છે. અગાઉ પણ આ હાઈવે પર અનેક સિંહ અને સિંહબાળ વાહનોની અડફેટે આવી ચૂક્યાં છે.








