નવજીવન ન્યૂઝ, મુંબઈ : 10 હજારથી વધુ રૂપિયાના ઑનલાઈન ટ્રાન્ઝેક્શન તુરંત ન થાય તેવો પ્રસ્તાવ Reserve Bank of India એ મૂક્યો છે. ઑનલાઈન પેમેન્ટમાં એકાદ કલાકનો વિલંબ થઈ શકે છે. આનાથી બેંક ખાતાધારકોને ખોટા ટ્રાન્ઝેક્શન રોકવા અથવા કેન્સલ કરવાની તક મળશે. દેશમાં વધતા ડિજિટલ ફ્રોડ (Digital Fraud Increasing in India) ને રોકવા માટે RBI એ આ પ્રસ્તાવ રજૂ કર્યો છે.
મોટાભાગે મનોવૈજ્ઞાનિક દબાણ કરીને ઠગો જે-તે વ્યક્તિ પાસે ઉતાવળમાં ઑનલાઈન ટ્રાન્સફર કરવા છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શન તુરંત થતા હોવાથી ગ્રાહકને વિચારવાનો કે ભૂલ સુધારવાનો મોકો મળતો નથી. ઑનલાઈન મની ટ્રાન્સફર (Online money transfer) માં સમય અવધિ રાખવાથી આ જોખમને ખતમ કરી શકાશે.
RBIએ કરેલા અન્ય પ્રસ્તાવમાં 70 વર્ષથી વધુ ઉંમરના વડીલો અને દિવ્યાંગો માટે સુરક્ષા વધુ કડક બનશે. 50 હજારથી વધુના ટ્રાન્ઝેક્શન માટે ‘ટ્રસ્ટેડ પર્સન‘ (ભરોસાપાત્ર વ્યક્તિ)ની મંજૂરી જરૂરી બની શકે છે. જો તમે ભરોસાપાત્ર વ્યક્તિને પૈસા મોકલી રહ્યાં છો તો તમારા ‘વ્હાઇટલિસ્ટ’માં સામેલ કરી શકો છો. વ્હાઇટલિસ્ટેડ લોકોને પેમેન્ટ કરવા પર 1 કલાકનો વિલંબ લાગુ પડશે નહીં.
RBI એ એક ‘કિલ સ્વિચ’ (Kill Switch) નું પણ સૂચન કર્યું છે. જો કોઈ બેંક ખાતાધારકને લાગે કે તેમનું એકાઉન્ટ હેક થઈ ગયું છે અથવા ભૂલથી ખોટું ટ્રાન્ઝેક્શન થયું છે તો તે એક ક્લિકથી તમામ ડિજિટલ પેમેન્ટ સેવાઓને તુરંત અટકાવી શકશે.
ગત વર્ષે દેશમાં ડિજિટલ ફ્રોડને કારણે થતું નુકસાન 22 હજાર કરોડ રૂપિયાને પાર થઈ ગયું છે. RBI અનુસાર 10 હજાર રૂપિયાથી ઉપરના ટ્રાન્ઝેક્શન કુલ ફ્રોડ કેસના 45 ટકા છે, પરંતુ કુલ ફ્રોડ વેલ્યુમાં તેમનો હિસ્સો 98.5 ટકા છે.








