નવજીવન ન્યૂઝ. રાજકોટ: Rajkot Truck Scam: રાજકોટમાં (Rajkot) ચોરી થયેલા ટ્રકને ભંગાર બનાવી દેઈ વેચાણ કરવાનું મોટું રેકેટ (Truck theft racket) સામે આવ્યું છે. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચને (Rajkot Crime Branch) આ કારસ્તાનની બાતમી મળતા રેકેટ ઝડપી લઈ પર્દાફાશ કર્યો છે. જેમાં મોટી સંખ્યામાં ટ્રક, ટ્રોલી, ટેન્કર અને વાહનોના એન્જિન સહિતનો મુદ્દામાલ સાથે આંતરરાજ્ય ગેંગનો આરોપી ઝડપાયા છે.

મળતી વિગતો અનુસાર રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચને માહિતી મળી હતી કે શહેરમાં છેતરપિંડીથી ટ્રક ભાડે મેળવી ચોરી કરી લઈ ભંગારના ડેલામાં વેચાણ કરવાનું આંતરરાષ્ટ્રીય કૌભાંડ ચાલી રહ્યું છે. આ માહિતી મળતા રાજકોટ ક્રાઇમ બ્રાંચની ટીમે વોચ ગોઠવી આરોપીઓ પર નજર રાખવાનું શરુ કરી દેવામાં આવ્યું હતું. દરમિયાન ગતરોજ માહિતી મળી હતી કે રાજકોટ-અમદાવાદ હાઇવે પર માલિયાસણ ચોકડી નજીક ભંગારના ડેલા અને કુવાડવા રોડ, નવાગામ, રૂડા ટ્રાન્સપોર્ટનગર નજીક આવેલા ભંગારના ડેલા ખાતે આ કારસ્તાન ચાલી રહ્યું છે.
ક્રાઇમ બ્રાંચની ટીમે ઉપરોક્ત સ્થળો પર દરોડો કરતા મોટી સંખ્યામાં ટ્રક, ટ્રોલી, ટ્રકની કેબિન, એન્જિન સહિતના પાર્ટસ અને સાધનો મળી આવ્યા હતા. આ મુદ્દામાલની તપાસ કરવામાં આવતા ખુલાસો થયો હતો કે આરોપીઓ દ્વારા ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાંથી એગ્રીમેન્ટના આધારે વાહન મેળવી તેને કોઈ મંજૂરી કે કેન્સલેશનની પ્રક્રિયા કર્યા વગર ભાંગી નાખવામાં આવતા હતા. બાદમાં તમામ સ્પેરપાર્ટ્સ અને સાધનોને છૂટક રીતે ભંગારના ડેલામાં રાખી વેચાણ કરી દેવામાં આવતું હતું. આ સ્થળો પરથી ક્રાઇમ બ્રાંચની ટીમે કુલ રૂપિયા 4 કરોડ 5 લાખ કરતા વધારેની રકમનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સાથે જ પોલીસે આ કારસ્તાનમાં સામેલ કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર આરોપી ઈશ્વર રૂઘનાથ જાટ અને કિશન ભગવાન ગાદરી નામના શખ્સો મૂળ રાજસ્થાનના છે. બંને આરોપીઓ ગુજરાત સહિત રાજસ્થાનના વિવિધ વિસ્તારોમાંથી ટ્રક માલીકો સાથે વિશ્વાસકેળવી એગ્રીમેન્ટથી ટ્રક મેળવતા હતા. બાદમાં છેતરપીંડી આચરી આ ટ્રક સસ્તી કિંમતે જુનાગઢના કેશોદના વતની લલીતભાઈ તુલસીરામ દેવમુરારીને વેચી દેતા હતા. આ પ્રકારે આરોપીઓ દ્વારા કુલ 60 જેટલા ટ્રક મેળવી કારસ્તાન આચરી દેવાયું હતું. આ મામલે ક્રાઇમ બ્રાંચે આરોપી જમાલ અબ્દુલભાઈ મેતર, લલીતભાઈ તુલસીરામ દેવમુરારી, કિશનલાલ ભગવાન ગાદરી, વસીમ ઉર્ફે બચ્ચો બસીરભાઈ સમા, ઈમ્તીયાઝ આમદભાઈ અગવાન અને ઈશ્વર રૂઘનાથ જાટની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








