નવજીવન ન્યૂઝ.અમદાવાદ: ગુજરાતમાં કસ્ટોડિયલ ડેથ અને કસ્ટોડિયલ વાયોલેન્સની ફરિયાદો સામે આવતી હોય છે. ત્યારે ગુજરાતના એક IPS અધિકારી સામે પણ કસ્ટોડિયલ વાયોલેન્સની ફરિયાદ સામે આવી છે. અમદાવાદ ગ્રામ્યના SP સામે કસ્ટોડિયલ વાયોલેન્સની ફરિયાદ આવતા સાણંદ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. IPS અધિકારીની સાથે ચાંગોદરના પોલીસ ઈન્સપેક્ટ સામે પણ કોર્ટે તપાસના આદેશ આપ્યા છે. પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ બાદ કોર્ટે તપાસના આદેશ આપતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
શું છે સમ્રગ મામલો
અમદાવાદ ગ્રામ્યમાં આવેલા ચાંગોદર વિસ્તારની જમીન પ્રકરણમાં ચંગોદરા પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી . આ મામલે આરોપીને મેજિેસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા આરોપીએ ન્યાયધીશ સામે જુબાની આપીને પોલીસ પર આક્ષેપ કર્યા હતા. આરોપીએ અમદાવાદના SP અમિત વસાવા અને ચાંગોદરના PI આરજી ગોજીયા સામે જમીન પ્રકરણ મામલે 11 લાખ રૂપિયાની લાંચ માગી હોવાનો આરોપ લગાવ્યા હતા.
આ પૈસા આરોપીએ આપવાની ના પાડતા તેને ગોંધી રાખી દંડા, પટ્ટા અને બંદૂકની પાછળનો ભાગ મારી અત્યાચાર ગુજાર્યો હોવાનો પણ આક્ષેપ કર્યો છે. જે બાબતની ગંભીરતા લઈ સાણંદ મેજિસ્ટ્રેટ કોર્ટે અમદાવાદના SP અમિત વસાવા અને ચંગોદરાના PI આર જી ગોજીયા સામે અમદાવાદ રેન્જ આઈજી વી. ચંદ્ઘશેખરને સમ્રગ કેસના તપાસના આદેશ આપ્યા છે. તેમજ મેજિસ્ટ્રેટ કોર્ટે લોકઅપ અને સંબધિત વિભાગોને CCTV કબ્જે કરી તપાસ કરવા આદેશ કર્યા છે. કોર્ટના આદેશ બાદ અમદાવાદ SP અને ચંગોદર PI સહિત જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કોસ્ટોડિયલ વાયોલેન્સની ફરિયાદ નોંધવામાં આવી છે. જેને લઈને આગામી દિવસો પોલીસ અધિકારીઓ સહિત કર્મચારીઓની મુશકેલી વધી શકે છે.








