નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટમાં શાળાની ફીમાં થયેલા અસહ્ય વધારેના કારણે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. શાળાની ફીમાં વધારો કરવાના FRCના નિર્ણયનો NSUI દ્વારા સખત વિરોધ થઈ રહ્યો છે. જેમાં આજરોજ બુધવારે NSUI દ્વારા FRC ની કચેરીને તાળાબંધી કરી વિરોધ વ્યક્ત કરવામાં આવતા NSUIના આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી.
રાજકોટની ખાનગી શાળોના ફી વધારાને લઈ વાલીઓમાં બુમરાણ મચી ગઈ છે. વાલીઓનો આક્ષેપ છે કે ખાનગી શાળાઓ અસહ્ય ફી વાધરો કરી રહ્યા છે અને FRC (ફી નર્ધારણ કમિટિ) તેમની તરફેણ કરી રહી છે. શિક્ષણ માફિયાઓ વર્ષે દહાડે કરોડો રૂપિયાની કમાણી કરવા ઉંધા સીધા હિસાબો બતાવી ફી વધારો કરવાની પરવાનગી લઈ રહ્યા છે. આ સ્થિતીમાં રાજકોટ કોંગ્રેસ અને NSUIએ FRCનો વિરોધ કરી FRCને ખાનગી શાળાઓને કમાણી કરાવતી કમિટિ જણાવી હતી. NSUIના રોહિત રાજપૂતે આક્ષેપ કરતા કહ્યું હતું કે, ફી નિર્ધારણ કમિટિ શાળાઓની ઉઘાડી લૂંટને કાયદેસરનો પરવાનો આપવાનો ગોરખધંધો કરી રહી છે. પરંતુ સરકાર અને તંત્ર ચૂપ છે અને વાલીઓ પીસાઈ રહ્યા છે.

NSUI અને કોંગ્રેસી કાર્યકરોએ રાજકોટ સ્થિત FRC કમિટિની કચેરીની તાળાબંધી ઉગ્ર વિરોધ કર્યો હતો. સાથે જ તેમણે FRC પર આરોપ કર્યા હતા કે સૌરાષ્ટ્ર ઝોનની 1500થી વધારે શાળાનું એક જ કમિટિ ઓડિટ કઈ રીતે કરી શકે? જે શાળાઓ ફી વધારાની અરજી કરે અને સંચાલકો અપેક્ષિત ફીની મંજૂરી માગે તે તમામ કેસમાં FRC મંજૂરી આપી દે છે. રોહિત રાજપૂતે ઉમેર્યું હતું કે, વર્ષ 2017થી 2023 સુધીમાં નામાંકિત ખાનગી શાળાઓની ફી FRCએ મંજૂર કરી છે તેમાંની મોટાભાગની શાળાઓ પોતે સોગંદનામા પર ખોટમાં સંસ્થા ચાલતી હોવાનું જણાવે છે. છતાં કોઈ પણ તપાસ વગર FRCએ તેમની વાતને સ્વિકારી લઈ લોલમ લોલ કામગીરી કરી છે.
રોહીત રાજપૂતે રાજકોટની SNK સ્કૂલ મામલે જણાવ્યું હતું કે અમારી પાસે પુરાવા છે કે તેમણે અનેક માહિતીઓ અને ખર્ચ ખોટી રીતે બતાવી દીધા છે છતાં પણ FRCએ તેને મંજૂર કરી દીધા છે. જો આ પ્રકારે જ FRC સાંઠગાઠથી કામ કરશે તો વાલીઓને લાભ પહોંચે કે આવી શિક્ષણ માફિયાઓની સંસ્થાઓને? આ રીતે થયેલા ફી વધારા સામે જરૂર પડ્યે હાઈકોર્ટમાં પણ જવાની તૈયારી બતાવતા રોહિત રાજપૂતે આક્ષેપ કર્યો હતો કે, વર્ષ 2020-21માં કોરોનાના કારણે કફોળી પરિસ્થિતીમાં શાળાઓ બંધ હોઈ કોઈ ખર્ચ નહીં હોવા છતાં પણ તેમણે ખોટા સોગંદનામા કરી ખર્ચા બતાવી દીધા છે. અને FRCએ છતાં પણ 27થી 30 ટકા સુધી ફીમાં વધારો મંજૂર કરી આપ્યો. બાદમાં સંચાલકો દ્વારા વાલીઓને ફીના ઉઘરાણા માટે પાછળથી ધમકાવવાનો ખેલ થયો હતો.

વિદ્યાર્થીઓના ટ્રાન્સપોર્ટેશનની ફી અલગ રીતે ઉઘરાવી ડ્રાયવર-કંડકટરનો પગાર શાળાઓ પોતાના ટ્રસ્ટમાંથઈ ઉધારતા હોવાનો આરોપ કરતા રોહિત રાજપૂતે કહ્યું હતું કે, આવા કાંડ કરવા છતાં પણ શાળાઓની ફી વધારાની અરજી FRC દ્વારા મંજૂર કેમ કરી શકાય? વળી શાળાઓ ચેરિટી પણ વિદ્યાર્થીઓ પર બોજ નાખીને કરે છે છતાં તંત્ર મૌન છે.








