નવજીવન ન્યૂઝ. સુરતઃ ગુજરાતમાં વિધાન સભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે પોલીસ અને વહીવટી શાખામાં બદલીનો દોર શરૂ થયો છે. શુક્રવારે મોડી રાત્રે સુરત અને વડોદરાના મ્યુનિસિપલ કમિશનરની બદલી કરવામાં આવી છે. તાજેતરમાં જ પોલીસબેડામાં પણ મોટા પાયે બદલી અને બઢતી કરવામાં આવી હતી. જોકે આગામી સમયમાં પણ આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની બદલી થાય તેવી સંભાવના છે.

ચૂંટણી પંચના નિયમ અનુસાર, ત્રણ વર્ષ કે તેથી વધુ સમય સુધી એક જ જગ્યાએ ફરજ બજાવતા અધિકારીઓની બદલીઓ કરવી. જેના ભાગરૂપે સુરત અને વડોદરાના મ્યુનિસિપલ કમિશનરની આંતરિક બદલી કરવામાં આવી છે. બંછાનિધી પાનીની વડોદરા મનપાના નવા કમિશનર બન્યા છે. જ્યારે શાલિની અગ્રવાલ સુરતના નવા મ્યુનિસિપલ કમિશનર બન્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, PM મોદી ગુજરાતની મુલાકાતે બે દિવસ આવ્યા હતા. તેઓ પરત દિલ્હી ફરતા ફરતા રાજ્યમાં IAS અધિકારીઓની બદલીનો દોર શરૂ થયો છે. ત્યારે આગામી સમયમાં પોલીસ અને વહીવટી ખાતામાં વધુ બદલી આવી શકે તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે.








