કાચામાલની માંગ ઘટી રહી છે તે પણ ચિંતાનું એક કારણ
કોલસો, આયર્ન ઓર, સિમેન્ટ, અનાજ અને ઘણી બધી કોમોડિટી કાચા માલની માંગ ઘટી
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): જગાણા (જગત વેપાર)નો આયનો (ઇન્ડિકેટર) ગણાતા જહાજી નૂરદરોના ઇંડેક્સ શા માટે દબાણમાં આવી ગયો છે? કોલસો, આયર્ન ઓર, સિમેન્ટ, અનાજ અને ઘણી બધી કોમોડિટી કાચા માલની માંગ ઘટી રહી છે, આ બધી ચીજો અર્ધ અને તૈયાર માલના મુખ્ય કાચા માલો છે, જેણે જહાજી નૂરને ઘટવાની ફરજ પાડી છે. વળી આ ઘટના તંદુરસ્ત વૈશ્વિક અર્થતંત્રો માટે વાજબી સંકેત પણ નથી. ૨૩ જહાજી રૂટના માનવામાં આવતો બાલ્ટિક ડ્રાય ઇંડેક્સ ગત સપ્તાહમાં ૯૬૫ પોઇન્ટના તળિયે પહોંચી શુક્રવારે ૧૦૮૬ પોઈન્ટ રહ્યો હતો.
જો ઓકટોબર ૨૦૨૧ની ૫,૬૫૦ની બાવન સપ્તાહની ઊંચાઈએથી ગણી તો તેમાં ૮૨ ટકાનું ગાબડું પડ્યું છે, જે બે વર્ષની નીચી સપાટી પણ છે. આ ઇંડેક્સ, આખા વિશ્વના નૂર દલાલોના સર્વેને આધારે તૈયાર થાય છે. ૨૦ મે ૨૦૦૮ના રોજ બીડીઆઈ ૧૧,૭૯૩ પોઈન્ટની ઐતિહાસિક સર્વોચ્ચ ઊંચાઈએ હતો, જ્યારે ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૬માં ૨૯૦ પોઈન્ટની બોટમ બનાવી હતી. બીડીઆઈમાં સમાવિષ્ઠ ૧.૫ લાખ ટન કોલસો કે આયર્ન ઓરનું વાહન કરતાં કેપસાઇઝ જહાજોનો ઇંડેક્સ પાછલા સપ્તાહના ઘટી ૭૩૩ પોઈન્ટ, ૬૦થી ૭૦ હજાર ટન કોલસા અને અનાજનું વાહન કરતાં પનામેક્સ જહાજનો ઇંડેક્સ ૩.૩ ટકા વધીને ૧૨૭૧ પોઈન્ટ મુકાયો હતો.
અલબત્ત, સુપ્રામેક્સ જહાજનો ઇંડેક્સ સતત છ ટ્રેડિંગ સત્રમાં ૪૫ પોઈન્ટ ઘટીને ૧૫૧૪ પોઈન્ટ મુકાયો હતો. સાપ્તાહિક ધોરણે બાલ્ટિક ડ્રાય ઇંડેક્સ ૦.૪ ટકા ઘટ્યો હતો. જો ૨૦૦૮ પછીની નાણાકીય કટોકટી અને ત્યાર પછીની અર્થતંત્રોની નબળાઈને ધ્યાનમાં લઇ તો આ ઇંડેક્સ અત્યાર સુધીમાં ૯૩ ટકા ઘટ્યો છે. જો આપણે ઘટી રહેલા કોમોડિટી ભાવ અને શેરબજારની તેજી બટકણી પુરવાર થઈ, તેને ધ્યાનમાં લો તો બાલ્ટિક ઇંડેક્સમાં ઘટાડો વાજબી લાગે છે. આમ જોઈએ તો આ બાબત કોઈ ખાસ મહત્વની નથી જણાતી, પણ ઇંડેક્સ ઘટવાનું આ એક કારણ છે.
પણ જો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશની માર્ચનડાઈઝ ટ્રેડ ફ્લો રેટ ગત ત્રિમાસિકમાં ધીમો પડી ગયાની નોંધ અને બીજા ત્રિમાસિકમાં પણ આવીજ સ્થિતિ રહેવાની આગાહી ધ્યાને લઈ, ડબલ્યુટીઓ એ ૨૦૨૨નો જાગતિક આર્થિક વિકાસ વૃધ્ધિદર માત્ર ૩ ટકા જ અંદાજ્યો છે. સારા સમાચાર એ છે કે ફ્યુઅલ ભાવ ઘટી રહ્યા છે અને સપ્લાઈ ચેન સરળ બની રહી છે, જે વાહનવ્યવહાર ખર્ચમાં થોડી રાહત આપશે અને કંપનીઓના નફાના સુધારો પણ કરશે.
સિટી જૂથે નવી વાત કરી છે, વધતો ફુગાવો, ભારત, ચીન, અમેરિકામાં ઘરોના વેચાણ ઓછા થયા અને વપરાશી માંગ ઘટવાને લીધે વૈશ્વિક માંગ વધુ પડતી ધીમી પાડવાની અમારી ધારણામાં કાપ મૂકીએ છીએ. સિટીનો અહેવાલ કહે છે કે ૮૦ ટકા નકારાત્મકતા ધારાવે છે તે વૈશ્વિક વેપાર જહાજી ઉધ્યોગો માટે પણ અશુભ ચિન્હ છે. બ્લૂમબર્ગના એનાલિસ્ટો કહે છે કે ૨૦૨૨ના બાકીના સમયગાળામાં જહાજી નૂરના હાજર ભાવ કોરોના મહામારી અગાઉના દર કરતાં કઈક અંશે ઊચા રહેશે, કારણ કે વર્તમાન જાગતિક સપ્લાઈ ચેઇન હવે પાટે ચઢવા લાગી છે.
ખાસ કરીને જાગતિક મંદીની વાતો વહેલી થવા લાગી છે અને અમેરિકન ફેડરલ રિઝર્વ, આર્થિક વિકાસના ભોગે પણ વ્યાજદર વધરવા વધુ પડતી મક્કમ થઈ ગઈ છે. આથી કહી શકાય કે બીડીઆઈમાં સતત ઘટાડો સૂચવે છે કે, છેલ્લા બે વર્ષથી કાચામાલની માંગ ઘટી રહી છે તેનું પ્રતિબિંબ નીચા ભાવમાં પડી રહ્યું છે અને તે પણ ચિંતાનું એક કારણ છે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)








