નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બેફામ દારૂના અડ્ડાઓ ધમધમતા હોય છે. તેનું તાજું ઉદાહરણ બોટાદનો દારૂકાંડ છે. જો પોલીસ અને તંત્ર દ્વારા દારૂના અડ્ડાઓ સામે કાર્યવાહી કરી હોત તો આજે અનેક લોકોની જિંદગી બચી શકી હોત. બોટાદમાં દારૂકાંડની ઘટના સામે આવતા રાજ્ય સરકાર પર વિપક્ષના નેતાઓ માછલાં ધોઈ રહ્યા છે અને CM અને ગૃહમંત્રીના રાજીનામાંની માગણી કરી છે.
દારૂકાંડ મામલે આમ આદમી પાર્ટીના નેતા ઈશુદન ગઢવીએ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, ગુજરાતમાં આજે ખૂબ દુખદ ઘટના બની છે. લઠ્ઠાકાંડના કારણે 25થી વધુ લોકોના મોત થતાં છે. ઉપરાંત 20 જેટલા લોકો ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જે ગામમાં આ ઘટના બની છે, તે જ ગામના લેટરપેડ લખીને આપ્યું હતું કે ગામમાં ખૂબ દારૂ વેચાઈ છે, લઠ્ઠાકાંડ થવાની શક્યતા છે. આ લઠ્ઠાકાંડ ગુજરાતમાં પહેલીવાર નથી. જ્યારથી ગુજરાતમાં ભાજપનું શાસન આવ્યા છે ત્યારથી દર વર્ષે લઠ્ઠાકાંડ થાય છે અને લોકોના મોત થાય છે. આજે ગુજરાતમાં 25થી વધુ લોકોના દારૂના કારણે મોત થયા છે. આની સંપૂર્ણ બેદરકારી સરકારની છે, આ નવા-નવા નિશાળિયાઓને સરકાર ચલાવતા આવડતી નથી, લોકોની સુરક્ષા કરતાં આવડતી નથી. CM અને ગૃહમંત્રીએ નૈતિકતાના ધોરણે રાજીનામું આપવું જોઈએ.








