વિશાલ મિસ્ત્રી રાજપીપળા: નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ભારત સરકારના કોલસા મંત્રી પ્રહલાદ જોશીની ઉપસ્થિતિમાં આવનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપની બેઠક મળી હતી. રાજપીપળા મુલાકાતે આવેલા કોલસા અને ખાણ મંત્રી પ્રહલાદ જોશીએ ભારતમાં કોલસાની ઘટ્ટ મામલે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે સ્ટોકની શોર્ટેજ છે પરંતુ સાથે વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો કે વીજળી પુરી થઈ જશે નહીં.
ભારત સરકારના ભારતના સંસદીય બાબતો કોલસા અને ખાણ મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે વિધાનસભા ચૂંટણી માટે ગુજરાતમાં સારી રીતે શરૂઆત થઈ છે. વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ ખૂબ જ સારા રેકોર્ડ સાથે ગુજરાતમાં બીજેપી ફરીથી શાસનમાં આવશે. કોમન સિવિલ કોડ અંગે તેઓએ જણાવ્યું હતું કે કોમન સિવિલ કોડ મૂદ્દે ઉત્તરાખંડમાં કમિટી બેઠી છે. કમિટીના રિપોર્ટ પછી સમગ્ર દેશમાં લાગુ કરવાની વિચારણા છે. તમામ રાજ્યોમાં આનો અમલ કરી શકાય, યુપીના મુખ્યમંત્રીએ પણ કીધું છે અને આ અંગેનો નિર્ણય પ્રધાનમંત્રી કરશે.
ખાસ કરીને હાલમાં કોલસાની તંગી વર્તાઇ રહી છે ત્યારે તેઓએ જણાવ્યું હતું કે થર્મલ પાવર પ્લાન્ટમાં 21 મિલિયન ટન સ્ટોક છે જે દસ દિવસ સુધી પૂરતો છે. કોલ ઇન્ડિયા સાથે મળીને કુલ 72 મિલિયન ટનનો સ્ટોક ભારતમાં છે. અત્યારના સમયે ભારત પાસે 70-80 દિવસ ચાલે એટલો સ્ટોક હોવો જોઈએ એની જગ્યાએ 10-11 દિવસ ચાલે એટલો સ્ટોક છે. એનો મતલબ એ નથી કે 10-12 દિવસ પછી કોલસો પુરો થઈ જશે. હાલ રોજ 2 મિલિયન ટન કોલસો રિપ્લેશ પણ કરીએ છીએ, શોર્ટેજ જરૂર છે પણ વીજળી પૂરી નહીં થાય. હાલ રશિયાથી ગેસ આવવાનો બંધ થયો છે. જેથી ઈમ્પોર્ટ કોલ મળતો નથી અને જનરેશન પણ બંધ હતું, જોકે હાલ ચાલુ થયું છે એટલે થોડી આવક ઓછી થઇ છે પણ ડિમાન્ડ વધી છે. કેમ કે હવે કોરોના પછી વીજળીનો વપરાશ ખૂબ જ વધ્યો છે રોજ 3.2 બિલિયન યુનિટ વપરાશ સામે હાલ 3.5 બિલિયન યુનિટ વીજ ઉત્પાદન થાય છે. ઇમ્પોર્ટન્ટ પોલ પાવર પ્લાન્ટને ઇમ્પોર્ટ કોલ મળતો નથી.








