કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): “અસ્પૃશ્ય કોણ ગણાય એની વ્યાખ્યા પૂછવામાં આવે છે, ત્યારે જવાબ મળે છે કે ‘એ તો સરકારનાં વસ્તીપત્રકોમાં આપેલું છે. તેમાં જેમનાં નામ આપ્યાં હોય તે અસ્પૃશ્ય.’ આ જવાબ તે જવાબ જ નથી, એ સરકારી વસ્તીપત્રકો સહેજ પણ ઝીણવટથી તપાસનાર જોઈ શકે એમ છે. ૧૯૩૫ના જાન્યુઆરીમાં બંગાળની સરકારે બંગાળના ‘પરિશિષ્ટ વર્ગો’ની એક યાદી બહાર પાડી હતી. પહેલાં આ વર્ગોને સરકાર ‘દલિત વર્ગો’ (ડિપ્રેસ્ડ ક્લાસીસ) એ નામથી ઓળખતી હતી. એ નામ પણ સરકારે જ પાડેલું હતું. પણ એ વર્ગના લોકોને તે અળખામણું લાગતું હતું, એટલે સરકારે એ ફેરવીને ‘પરિશિષ્ટ વર્ગો’ (શેડ્યુલ્ડ ક્લાસીસ) એ નવું નામ પાડ્યું. ૧૯૩૩માં બંગાળ સરકારે આ વર્ગોની યાદી પ્રસિદ્ધ કરેલી, તેમાં ૮૭ જાતોનાં નામ પ્રસિદ્ધ થયેલાં, ને સરકાર એટલી બધી જાતોને દલિત ગણે છે એ સામે બંગાળનાં છાપાંઓએ તે જ વખતે શોર મચાવી મૂકેલો. તે પરથી સરકારે એક નવી યાદી બહાર પાડી. આ નવી યાદીમાં ૭૮ જાતો હતી. ૮૭ની ૭૮ જાતો કેમ થઈ ગઈ, એની તપાસ કરવા મેં તે વખતે ૧૯૩૧નો બંગાળનો વસ્તીપત્રકનો રિપોર્ટ ઉઘાડ્યો હતો, ને તેમાંથી જે હકીકતો મળી તે એ વખતે પ્રસિદ્ધ કરી હતી. તે અહીં પણ આપવા જેવી છે.

૧૯૩૩ના જાન્યુઆરીમાં સરકારે જે યાદી પ્રસિદ્ધ કરી તેની સામે વિરોધ થયો. એટલે સરકારે ફરી તપાસ કરી, લોકોની અરજીઓ સાંભળી, કોણ એમાંથી નીકળી જવા માગે છે ને કોણ એમાં દાખલ થવા માગે છે તેની અમલદારો પાસે ભાળ કઢાવી, અને નવી યાદી બનાવી. જૂની યાદીમાંથી નીચેની ૧૪ જાતોને બાતલ કરવામાં આવી : અસુર, દાલુ, બિરહોર, દમાઈ, કાલુતેલી, કલવર, કપાળી, કીચક, કુરાઈઅર, નાઈયા, નાગર (!), પુંડરી, રાજુ, શાગિર્દપેશા.
અને નીચેની પાંચ જાતો ઉમેરવામાં આવી : કાસ્થા, ખૈરા, નુનિયા, રાજબંસી, સૂત્રધાર.
આ બધી જાતો કંઈ અસ્પૃશ્ય નથી. એમાંની કેટલીકને તો કોઈએ ક્યારેય અસ્પૃશ્ય ગણી નથી. પણ સરકારે જ કહ્યું છે કે આ યાદી એકલા અસ્પૃશ્યની નથી; ‘જે જે જાતિઓ સામાજિક અને રાજકીય બાબતોમાં પછાત છે, અને જેમને રાજકાજમાં ખાસ પ્રતિનિધિત્વ આપવાની જરૂર લાગે છે, તેમને આ યાદીમાં મૂકી છે.’ અને છતાં આપણને આંખ મીંચીને જવાબ દેવામાં આવે છે કે ‘અસ્પૃશ્ય કોણ એ જોવું હોય તો વસ્તીપત્રકમાં જુઓ!”
જે પુસ્તકમાં આ વિગત ટાંકવામાં આવી છે તે પુસ્તકનું નામ ‘મંદિરપ્રવેશ અને શાસ્ત્રો’ છે. આ પુસ્તક દેશને આઝાદી મળી તે વર્ષમાં પ્રકાશિત થયું હતું અને તેના લેખક ચંદ્રશંકર પ્રાણશંકર શુકલ છે. પુસ્તકમાં પ્રયોજેલા કેટલાંક શબ્દો આજે ઉપયોગમાં લઈ શકાતા નથી; પરંતુ તત્કાલિન સમયનો દસ્તાવેજ હોવાથી લેખકના શબ્દો અવતરણમાં ટાંક્યા છે.
ચંદ્રશંકર પ્રાણશંકર શુકલએ પુસ્તકમાં ‘રાજ્યકર્તાનો ફાળો’ નામે લખેલા પ્રકરણમાં 1931માં થયેલી જ્ઞાતિ આધારીત વસતી ગણતરીનો ઉલ્લેખ કરીને તેમણે વાત મૂકી છે : “બંગાળનો ૧૯૩૧નો વસ્તીપત્રકનો રિપોર્ટ જે અંગ્રેજ અમલદારે લખ્યો છે તેણે ‘દલિત વર્ગ’ની યાદીમાં કોને મૂકી શકાય એની વ્યાખ્યા ઠરાવવા ઘણો પ્રયત્ન કરીને, ‘એની વ્યાખ્યા થઈ શકે એવી છે જ નહીં’ એમ કહી એ પ્રયત્ન છોડી દીધો છે. એટલું જાણ્યા પછી એવી યાદી આપવાનું જ છોડી દેવું જોઈતું હતું. પણ સરકારને તો હિંદુસ્તાનમાં દલિત લોકોની સંખ્યા કેટલી વિશાળ છે એ જ જાણે બતાવવું હતું. એટલે પેલા અમલદારે મનસ્વીપણે ગમે તે જાતોને એ યાદીમાં ગોઠવી દીધી!
અને આ દલિતોની સંખ્યા સરકારે ધીમે ધીમે કેવી રીતે વધારી છે તે જોઈએ. ૧૯૧૧ના વસ્તીપત્રકમાં દલિતની કે અસ્પૃશ્યની નોખી ગણતરી કરવામાં જ નહોતી આવી. એની પહેલવહેલી તપાસ બંગાળની સરકારે ૧૯૧૬માં કરી, અને ૨૩ જાતોને ‘દલિત વર્ગ’માં મૂકી. કલકત્તા યુનિવર્સિટીએ પણ એ ૨૩નો આંકડો ચલાવ્યો. ૧૯૨૧ના વસ્તીપત્રકમાં એ સંખ્યા વધારીને ૪૦ની કરવામાં આવી. ૧૯૩૧ના વસ્તીપત્રકમાં એ સંખ્યા વધીને ૮૮ની થઈ. ૧૯૨૧માં જે દલિત ગણાયા હતા તેમાંના કેટલાકને કાઢી નાંખવામાં આવ્યા. વસ્તીગણતરી કરનાર અમલદારે કેટલીક જાતો જેમને પહેલાં સ્પૃશ્ય ગણેલી તેમને હવે અસ્પૃશ્ય ગણાવી, અને કેટલીક અસ્પૃશ્ય ગણાતીને સ્પૃશ્યની હારમાં મૂકી દીધી! એટલે અસ્પૃશ્યતાનો સરજનહાર ને સંહારક ઈશ્વર નથી, પણ વસ્તીપત્રકનો રિપોર્ટ ઘડનાર અમલદાર છે, એમ સિદ્ધ નથી થતું?
બંગાળની કુલ વસ્તી, ૧૯૩૧ની ગણતરી પ્રમાણે, ૫ કરોડ ૧૦ લાખની હતી. તેમાં ૨ કરોડ ૨૨ લાખ હિંદુ હતા. ૧૯૩૧ની ગણતરી પ્રમાણે એમાં ૮૪ લાખ ‘દલિત’ હતા; એટલે કે કુલ વસ્તીના ૧૬.૪ ટકા, અને હિંદુ વસ્તીના ૩૭.૮ ટકા ‘દલિત’ છે. ૧૯૨૧માં જે જાતો ‘દલિત’ ગણાતી ને જેને ૧૯૩૧માં બાદ કરવામાં આવી તે પણ ગણીએ, તો ‘દલિતો’ની સંખ્યા ૧ કરોડ ૫ લાખની, એટલે કે કુલ વસ્તીના ૨૦.૬ ટકા, અને હિંદુઓના ૪૭.૫ ટકા, થાય. ‘દલિતો’ની ને અસ્પૃશ્યોની સંખ્યામાં વસ્તીપત્રક બનાવનારાઓએ મનમાન્યા ફેરફાર કર્યા છે. એમાં કશું ચોકસ ધોરણ તેઓ પોતે જ બતાવી શક્યા નથી.”
1931માં વસતી ગણતરી થઈ ત્યારે દેશમાં અંગ્રેજોનું શાસન હતું અને તે વખતે જ્ઞાતિગત વસતી ગણતરીમાં કેટલીક જગ્યાએ પડેલી મુશ્કેલીની નોંધ અંગ્રેજ અમલદારે કરી છે. તે અમલદારે લખ્યું છે અને લેખકે તેની નોંધ આ રીતે કરી છે : “અસ્પૃશ્ય શબ્દની તાત્ત્વિક વ્યાખ્યા આપવી સહેલી છે. પણ જ્યારે વિગતો તપાસવા બેસીએ છીએ ત્યારે એ ઠરાવવું મુશ્કેલ પડે છે કે કઈ જાતિઓને અસ્પૃશ્ય ગણાય ને કોને ન ગણાય. આ પ્રાંતની સ્થિતિ દક્ષિણ ભારત કરતાં બહુ જુદી છે. અહીં એ જાતિઓ ભલે નામની અસ્પૃશ્ય ગણાતી હોય, ને છૂટાછવાયા કોક માણસ તેમને અડતા ન હોય, પણ એ જાતિઓ સામે ખાસ કોઈ સામાજિક પ્રતિબંધો નથી. એવો એક દાખલો તેલીનો છે. તેલી, સુનરી ને કલવાર લોકો પૈસેટકે ખેડૂતો કરતાં વધારે સુખી છે, ને તેમને દલિત ન કહી શકાય, ક્યાંક એમને મંદિરમાં નહીં પેસવા દેતા હોય; પણ એટલા જ કારણસર તેમને દલિત ન ગણી શકાય. બીજી બાજુ ખરેખરા દલિત છે. પણ એમની બાબતમાં પણ પરિસ્થિતિ જિલ્લે જિલ્લે ને ગામડે ગામડે જુદી જુદી છે. કેટલીયે જગાએ તેમને કૂવે પાણી ભરતાં કોઈ રોકતું નથી. આ વર્ગમાં જેમને મુકાશે તેમને શિક્ષણ વગેરેની વધારે સગવડો અપાશે એવું જો જાહેર થાય, તો ઘણી જાતિઓ જે જરાયે અસ્પૃશ્ય નથી ને જેમને અત્યારે આ યાદીમાં મૂકી નથી તે પણ એ યાદીમાં સામેલ થવા માટે બુમાટો કરી મૂકે.”
મહદંશે અહીંયા લેખકે બંગાળ રાજ્યના દાખલા લીધા છે, પણ આગળ એક ઠેકાણે પંજાબની સ્થિતિ જ્ઞાતિ આધારીત વસતી ગણતરી માટે મૂકતા લખે છે : “‘દલિત’ કોને ગણાય એ ઠરાવવાની મુશ્કેલી પંજાબમાં પણ એટલી જ નડેલી. જે જાતોને દક્ષિણ ભારતમાં મંદિરપ્રવેશની છૂટ નહોતી તેમને પંજાબમાં તે છૂટ હતી. કૂવાતળાવના વાપરમાં એકસરખું ધોરણ નહીં. અમુક જાતિઓને એક જગાએ જાહેર જળાશયમાંથી પાણી ન ભરવા દે; પણ જ્યાં પાણીની તંગી હોય ત્યાં એ જ જાતિઓને જરા છેટેથી પણ જળાશયમાંથી પાણી લેવા દે. વળી આ જાતોમાંથી જે આર્યસમાજી થયા હોય તેમણે તો પોતાની જાત ‘આર્ય’ લખાવી હોય, એટલે તે ‘દલિત’માં ગણાય નહીં. ઉપરથી હુકમ છૂટેલા કે જે દલિત વર્ગો ‘સંખ્યાની દૃષ્ટિએ મહત્ત્વના ન હોય’ તેમને પડતા મૂકવા. એટલે ૨૪ જાતો, જે ૧૯૨૧ના વસ્તીપત્રકમાં ‘દલિત’ની યાદીમાં મુકાઈ હતી, તેમને ૧૯૩૧માં કાઢી નાખવામાં આવી. એટલે કે તે ‘અસ્પૃશ્ય’ મટી ગઈ!”
પ્રકરણના અંતે લેખક જ્ઞાતિ આધારીત વસતી ગણતરીની મર્યાદા દર્શાવતાં લખે છે : “વસ્તીપત્રકમાં કરેલા નાતજાતના આ રીતના વર્ગીકરણથી આપણા સમાજને કંઈ ઓછું નુકસાન નથી થવા પામ્યું. જુદી જુદી જાતો વચ્ચેનાં વૈમનસ્ય વધારવામાં એ વર્ગીકરણે સારી પેઠે ભાગ ભજવ્યો છે.” જોકે આજે ચિત્ર બદલાયું છે અને આજે જ્ઞાતિ આધારીત આવશ્યક છે તેવું અનેક નિષ્ણાતો માને છે. આ વિશે સતત લખનારાં-બોલનારા યોગેન્દ્ર યાદવ ઉદાહરણ ટાંકતા લખે છે, “હાથ પર સોજો આવ્યો છે તો એક્સ-રે, પેટની પીડા હોય તો અલ્ટ્રાસાઉન્ડ અથવા તાવ આવે છે તો લોહીની તપાસ કરવામાં આવે છે. આ તપાસ કરવાથી બીમારીનો ઇલાજ નથી થઈ જતો. પરંતુ તેના ઇલાજ માટે આ આગોતરું આવશ્યક પગલું છે. તો એવું સમજી લો કે જ્ઞાતિ આધારીત વસતી ગણતરી જ્ઞાતિ વ્યવસ્થા નામની બીમારીનો ઇલાજ કરવા માટે કરવામાં આવનારો એક્સ રે છે.”
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796