Monday, May 19, 2025
HomeGujaratAhmedabadભારત-પાકિસ્તાનને એકબીજા સાથે વેપારમાં કેટલી લેતીદેતી છે?

ભારત-પાકિસ્તાનને એકબીજા સાથે વેપારમાં કેટલી લેતીદેતી છે?

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ભારત-પાકિસ્તાનના સંબંધ (India-Pakistan relations) ક્યારેય સામાન્ય રહ્યા નથી. પાકિસ્તાનના અલગ દેશ તરીકે નિર્માયો ત્યારથી બંને દેશોના વિવાદ યુદ્ધ (Ind-Pak War) સુધી પહોંચ્યા છે. તેમ છતાં બંને દેશો વચ્ચે વેપાર થતો રહ્યો છે અને ભારતમાંથી ફાર્માસ્યુટિકલ, કેમિકલ, ખાંડ, ફળ અને શાકભાજી સુધ્ધા પાકિસ્તાનમાં નિકાસ થતી રહી છે. પહલગામ હુમલા (Pahalgam attack 2025) પછી પાકિસ્તાનમાં આ નિકાસ બંધ થશે અને હવે ત્રીજા દેશને મધ્યસ્થી રાખી પાકિસ્તાન ભારતમાંથી ચીજવસ્તુઓ મંગાવશે. અનેક વખત બંને દેશો વચ્ચે જ્યારે પણ તગંદીલી વધી છે ત્યારે ભારત-પાકિસ્તાના વેપારી સંબંધોને અસર પહોંચી છે. 2019માં જ્યારે પુલવામામાં સૈન્ય કાફલા પર હૂમલો થયો હતો ત્યારે ભારતે પાકિસ્તાન પાસેથી ‘મોસ્ટ ફેવરડ નેશન’નો દરજ્જો રદ કરી દીધો હતો. આ પગલાંના કારણે નિકાસ પર ડ્યૂટી બસો ટકા જેટલી વધી હતી. ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં પ્રકાશિત થયેલાં અહેવાલ મુજબ માત્ર અટારી સરહદેથી બંને દેશો વચ્ચે 3888 કરોડ રૂપિયાનો વેપાર થતો હતો, જે પહલગામ હૂમલા પછી બંધ કરી દેવામાં આવ્યો છે. અહીંયાથી જે ચીજવસ્તુઓ નિકાસ થતી હતી તેમાં સોયાબીન, મરચાં, પ્લાસ્ટિક યાર્ન, પોલ્ટ્રીના ખાદ્યપદાર્થ, પ્લાસ્ટિકના દાણા હતા. અટારી સરહદેથી પાકિસ્તાનમાંથી આપણા દેશમાં આવતી ચીજવસ્તુઓ ડ્રાટ ફ્રૂટ્સ, સિમેન્ટ, કાચ, જિપ્સમ અને સિંધવ હતું.

India pakistan trade
India pakistan trade

પુલવામાં અગાઉ બંને દેશો વચ્ચેનો વેપાર સાડા ચાર હજાર કરોડ સુધી પહોંચ્યો હતો. પરંતુ તે પછી 2018-19માં તે આંકડો ઘટીને અડધે પહોંચી ચૂક્યો હતો. 2022-23 આવતાં સુધીમાં આ વેપાર 3,888 કરોડ સુધી પહોંચ્યો હતો. ડૉલરમાં જોઈએ તો ભારત-પાકિસ્તાનનો વેપાર છેલ્લા પાંચ વર્ષથી બે બિલિયન ડોલર સુધી પહોંચ્યો હતો. જોકે પાડોશી દેશ તરીકે આ વેપારી સંબંધો નજીવા છે, કારણ કે વર્લ્ડ બેંકે બંને દેશો વચ્ચે આનાથી અઢાર ગણો વેપારની આશા રાખી હતી! ભારતનો સર્વત્ર વેપારનો આંકડો જોઈએ તો તે 430 બિલિયન ડૉલર સુધી છે, જ્યારે પાકિસ્તાન તેનાથી પાંચમાં ભાગનો વેપાર કરે છે. પાકિસ્તાન પર જ્યારે આર્થિક કટોકટી લદાય છે ત્યારે ત્યાંની સ્થિતિ વણસે છે. કોરોના વખતે પણ પાકિસ્તાનમાં ધંધા ઠપ્પ થઈ ચૂક્યા હતા અને ભાવ વધારાની સ્થિતિ નિર્માણ પામી હતી. એવું કહેવાય છે કે ગત્ વર્ષે ‘પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર’માં ભાવ વધારાને લઈને હિંસક પ્રદર્શન થયું હતું અને તેમાં એક પોલીસ કર્મચારીનું મોત થયું હતું અને 90થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. પાકિસ્તાનની આર્થિક બાબતમાં સ્થિતિ નબળી છે. પરંતુ અટારી પર બંધ થયેલા વ્યવહારથી માત્ર પાકિસ્તાનને અસર થશે તેવું નથી. આ નિર્ણયની અસર ભારતમાં પણ થશે. વેપાર સંબંધિત નિષ્ણાતો આ વિશે કહે છે કે અટારી પર ભારત-પાકિસ્તાનના વેપારથી અમૃતસર અને અટારીના આસપાસમાં લાખો લોકો નભે છે. અને તેથી જ ‘શિરોમિણી અકાલી દલ’, ‘આમ આદમી પાર્ટી’ કે પછી ‘કૉંગ્રેસ’ અટારી રૂટથી વેપાર કરવાના તરફેણમાં મત વ્યક્ત કરતા રહ્યા છે.

- Advertisement -
Ind Pak news
Ind Pak news

એ પ્રમાણે પાકિસ્તાન ફાર્માસ્યુટિકલ કાચા માલના હિસ્સાના 40 ટકાનું અવલંબન ભારત પર ધરાવે છે. પરંતુ ફાર્માસ્યુટિકલમાં કટોકટી આવે તો તેની અસર વ્યાપક થાય તેથી 2019ના અનુભવને ધ્યાનમાં રાખીને ‘ધ ડ્રગ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ પાકિસ્તાન’ બીજા વિકલ્પો તરફ નજર દોડાવી ચૂક્યા છે. મહદંશે તેઓ આ પોતાના પુરવઠો ચીન, રશિયા અને અન્ય યુરોપિયન દેશો તરફથી મેળવશે. અત્યાર સુધી એન્ટિ કેન્સર થેરપીઝ, બાયોલોજિકલ પ્રોડક્ટ, વેક્સિન, એન્ટિ રેબિઝ વેક્સિન અને એન્ટિ સ્નેક વેનોમ ભારત તરફથી પાકિસ્તાન જતી હતી.

India pakistan relations
India pakistan relations

ભારત-પાકિસ્તાન વચ્ચેના આટલા તંગ માહોલ વચ્ચે પણ વેપારનો સંબંધ કાયમી રહ્યો છે. બંને દેશો એક સાથે આઝાદ થયા ત્યારે પણ વેપારી સંબંધ ચાલુ રહ્યો હતો, પરંતુ તેમાં પ્રથમ વાર 1949માં પ્રતિબંધ મૂકવામાં આવ્યો ત્યારે તે વખતે વેપાર પાંચમા ભાગનો રહ્યો હતો. એ પછી 1965 અને 1970ના યુદ્ધ વખતે બંને દેશો વચ્ચેના વેપારી સંબંધો નહિવત્ થયા હતા. જોકે આમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે 1996માં ભારતે પાકિસ્તાનને ‘મોસ્ટ ફેવરડ નેશન’નો દરજ્જો આપ્યો. અને એ રીતે બંને દેશો વચ્ચે એક નવો અધ્યાય શરૂ થયો. જોકે આ અધ્યાયમાં બંને દેશોના કુલ વેપારનો નજીવો હિસ્સો હતો. આ હિસ્સો સમયાંતરે વધ્યો-ઘટ્યો અને છેલ્લે સ્થિર થયો હતો. 2019માં પાકિસ્તાન પર આર્થિક પ્રતિબંધો લાદવામાં આવ્યા. તેમ છતાં ‘ઇકોનોમિક થિંક ટેક ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિએટિવ’[GTRI] મુજબ કેટલાંક પ્રતિબંધો છતાં ભારતમાંથી અંદાજે 85,000 કરોડનો માલસામાન દર વર્ષે પાકિસ્તાન પહોંચી રહ્યો હતો. આ માલસામાન સીધો પહોંચવાના બદલે ત્રીજા દેશ થકી પાકિસ્તાન પહોંચતો હતો.

વેપાર કરનારાઓ માટે કોઈ દેશ દુશ્મન દેશ હોતો નથી અને તેમના માટે સર્વોપરી વેપાર છે. પાકિસ્તાન સાથે કેવી રીતે વેપાર થતો તે અંગે GTRIના સ્થાપક અજય શ્રીવાસ્તવના નિવેદન મળે છે. તેઓ કહે છે કે, ભારતીય કંપની ઇનડાયરેક્ટ પોર્ટના માધ્યમથી પાકિસ્તાનમાંથી માલાસમાન મોકલે છે અને તે પ્રક્રિયા પર ધ્યાન આપીએ તો પહેલા તે માલસામાન દુબઈ, સિંગાપોર અને કોલંબો જેવા પોર્ટ્સ પર એક તે માલ ઉતરે છે. પછી આ માલસામાન વેયરહાઉસમાં રાખવામાં આવે છે અને અહીંયાથી વેયરહાઉસમાં લેબલ અને દસ્તાવેજોને બદલીને આ માલસામાનને અન્ય દેશનો છે તેમ દાખવવામાં આવે છે. ઉદાહરણ તરીકે ભારતમાં નિર્મિત માલસામાન પર ‘મેઇડ ઇન યુએઈ’ લેબલ લગાવવામાં આવે છે અને એ રીતે તે માલસામાનને પાકિસ્તાન મોકલવામાં આવે છે.

- Advertisement -

દુનિયા બજારથી ચાલે છે અને એ રીતે ભારત-પાકિસ્તાન એકબીજાના બજાર પર નિર્ભર થઈ શકે તેવા અભ્યાસ અનેક વખત થયા છે. જેમ કે, પાકિસ્તાન ચાના વપરાશમાં દુનિયાના પાંચ ટોપ દેશોમાં આવે છે. ભારત ચાના સૌથી મોટા ઉત્પાદકોમાંનું એક છે. પરંતુ પાકિસ્તાન ચા માટે ભારત પર નિર્ભર નથી. બલકે પાકિસ્તાન ચા માટે કેન્યા, શ્રીલંકા અને ઇન્ડોનેશિયાથી પોતાના ખપત પૂરતી ચા મંગાવે છે. નેવુંના દશકમાં બંને દેશો વચ્ચેના સંબંધો સારાં થયા ત્યારે ચાના વેપાર સંબંધિત સંધિ પણ થઈ, તેમ છતાં તે વાત આગળ ન વધી.

પાકિસ્તાનના મુખ્ય ધારાના અખબાર ‘ધ ડૉન’ દ્વારા પાકિસ્તાન-ભારતના વેપારનો એક આખો ગ્રાફ આપ્યો છે. આ ગ્રાફમાં 2004થી ભારત-પાકિસ્તાન વેપાર સંબંધને જોઈ શકાય છે. આ ગ્રાફ મુજબ 2014 જ્યારે નરેન્દ્ર મોદી વડા પ્રધાન પદે આવ્યા ત્યારે સૌથી વેપાર વધ્યો હતો. અને 2019 સુધી આ વેપાર નિયમિત રીતે બંને પક્ષે ચાલતો રહ્યો. પરંતુ 2019ના પુલવામાં હુમલા પછી તેમાં મોટા પ્રમાણમાં ઘટ આવી અને પછી તેમાં ક્યારેય સુધારો આવ્યો નહીં. સંભવત્ છેલ્લા બે દાયકામાં આ સમય છે જ્યારે ભારત-પાકિસ્તાનની સૌથી ઓછો વેપાર કરી રહ્યા છે.

ભારત-પાકિસ્તાનના વેપારને લઈને અલગ-અલગ મંતવ્ય છે. જેમાં એક મંતવ્ય પાકિસ્તાનના પૂર્વ નાણાં મંત્રી મિફ્તિઆ ઇસ્માઈલી વ્યક્ત કર્યો હતો. તેમનું માનવું છે કે દરેક પ્રકારના વેપારી સંબંધો લાભ કરાવે છે. તેઓ ચીન અને તાઇવાનનું ઉદાહરણ પણ સામે મૂકે છે. તેમનું માનવું છે કે ચીન અને તાઇવાન વચ્ચે અનેક વિવાદો છતાં આ બંને દેશોના વેપાર સતત વધી રહ્યા છે. એ રીતે ચીન અને ભારતના વિવાદના વિષયો કંઈ ઓછા નથી, તેમ છતાં બંને દેશોનો એકબીજા સાથેનો વેપાર સતત વધી રહ્યો છે.

- Advertisement -

આ તો બંને દેશો વચ્ચેના સીધા વેપારની વાત થઈ. બીજી અનેક બાબતો એવી છે જેમાં બંને દેશો એકબીજાની પ્રોડક્ટને પસંદ કરે છે. ભારતની ફિલ્મો પાકિસ્તાનના થિયેટર્સમાં રિલિઝ કરવા પર પ્રતિબંધ મૂકવામાં છે. તેમ છતાં હાલમાં પણ પાકિસ્તાનમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં ભારતની સંજય દત્તના જીવન પરથી નિર્મિત ફિલ્મ ‘સંજુ’ ત્રીજા ક્રમે આવે છે. ટોપ ટેન કમાણી કરનારી એવી ફિલ્મોમાં બીજી ભારતીય ફિલ્મ ‘સુલ્તાન’ છે. ‘ધૂમ 3’ અને ‘બજરંગી ભાઈજાન’ પણ પાકિસ્તાનમાંમ ખાસ્સી કમાણી કરનારી ફિલ્મો છે. બંને દેશો વચ્ચે આતંકવાદથી અંતર આવતું રહ્યું છે, તેમ છતાં બંને દેશો વેપાર, જીવનશૈલી અને સંસ્કૃતિથી જોડાયેલા રહ્યા છે.

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular