Saturday, May 23, 2026
HomeNationalદિલ્હી રમખાણ કેસમાં ઉમર ખાલિદને હાઈકોર્ટથી રાહત, 3 દિવસની જામીન મંજૂર

દિલ્હી રમખાણ કેસમાં ઉમર ખાલિદને હાઈકોર્ટથી રાહત, 3 દિવસની જામીન મંજૂર

- Advertisement -

નવજીવન ન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ વર્ષ 2020ના દિલ્હી રમખાણની કથિત સાજિશના કેસમાં UAPA હેઠળ ધરપકડ કરાયેલા પૂર્વ JNU વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદને દિલ્હી હાઈકોર્ટથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટે ઉમર ખાલિદને ત્રણ દિવસની અંતરિમ જામીન મંજૂર કરી છે. કોર્ટના આદેશ મુજબ તેમને 1 જૂનથી 3 જૂન સુધી અંતરિમ જામીન આપવામાં આવ્યા છે જેથી તેઓ પોતાની બીમાર માતાની સર્જરી દરમિયાન તેમની સંભાળ રાખી શકે અને પોતાના મામાના ‘ચેહલુમ’ની વિધિમાં હાજરી આપી શકે. ઉમર ખાલિદ હાલમાં UAPA કેસમાં દિલ્હીની તિહાર જેલમાં બંધ છે.

દિલ્હીની નીચલી અદાલતે તેમની જામીન અરજી ફગાવી દીધી બાદ ઉમર ખાલિદે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. ઉમર ખાલિદે પોતાના સ્વર્ગસ્થ મામાના ચેહલુમમાં હાજરી આપવા અને બીમાર માતાની સંભાળ રાખવા માટે 15 દિવસની અંતરિમ જામીનની માંગણી કરી હતી.

- Advertisement -

આ પહેલાં કડકડડૂમા કોર્ટે તેમની અરજી ફગાવતા જણાવ્યું હતું કે અંતરિમ જામીન માટે દર્શાવાયેલા કારણો પૂરતા યોગ્ય અને સંતોષકારક નથી. નીચલી અદાલતમાં ઉમર ખાલિદે દલીલ કરી હતી કે તેમના પરિવારમાં પિતા, માતા અને પાંચ બહેનો છે, પરંતુ 71 વર્ષીય પિતા માતાની સંભાળ રાખી શકે તેવી સ્થિતિમાં નથી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમની ચાર બહેનો પરણેલી છે અને અલગ-અલગ સ્થળે રહે છે. આવી સ્થિતિમાં પરિવારના સૌથી મોટા અને એકમાત્ર પુત્ર તરીકે માતાની સર્જરી પહેલાં અને બાદમાં તેમની સંભાળ રાખવાની જવાબદારી તેમની જ બને છે.

અરજીમાં એ પણ જણાવાયું હતું કે ઉમર ખાલિદને અગાઉ પણ અનેક વખત અંતરિમ જામીન મળી ચૂક્યા છે અને દરેક વખતે તેમણે કોર્ટની તમામ શરતોનું પાલન કરીને સમયસર આત્મસમર્પણ કર્યું હતું. બચાવ પક્ષે વધુમાં દલીલ કરી હતી કે સહ-આરોપી તસ્લીમ અહમદ, શિફા ઉર રહમાન અને અથર ખાનને પણ પરિવારની બીમારી જેવા કારણોસર અંતરિમ જામીન આપવામાં આવ્યા હતા, તેથી સમાનતાના આધારે ઉમર ખાલિદને પણ રાહત મળવી જોઈએ.

- Advertisement -

બીજી તરફ, અભિયોજન પક્ષે જામીન અરજીનો વિરોધ કરતા દલીલ કરી હતી કે આરોપી કોર્ટની નરમાઈનો લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યો છે. અભિયોજનના જણાવ્યા અનુસાર મામાનો ચેહલુમ નજીકના સંબંધીઓની શ્રેણીમાં આવતો નથી અને પરિવારના અન્ય સભ્યો પણ આ વિધિ પૂર્ણ કરી શકે છે. સાથે જ માતાની સર્જરીને ગંભીર ન ગણાવતા એવું પણ કહેવામાં આવ્યું હતું કે પરિવારના અન્ય સભ્યો તેમની સંભાળ રાખી શકે છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular