Monday, May 19, 2025
HomeGujaratAhmedabad‘ધ ગ્રેટ કૉન્સિલિઅટર’ : ઉમદા સમજૂતીકાર વડા પ્રધાનનું જીવનચરિત્ર

‘ધ ગ્રેટ કૉન્સિલિઅટર’ : ઉમદા સમજૂતીકાર વડા પ્રધાનનું જીવનચરિત્ર

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): દેશના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી (Lal Bahadur Shastri) વિશેનું પુસ્તક ‘ધ ગ્રેટ કૉન્સિલિઅટર’ પ્રકાશિત થયું છે. લાલ બહાદુર શાસ્ત્રીના જીવન વિશે તેમાં જેમ વિસ્તૃત સંશોધિત કરીને લખવામાં આવ્યું છે તેમ પુસ્તકમાં એક વિભાગ તેમના આકસ્મિક મૃત્યુ વિશે પણ છે. લાલ બહાદુર શાસ્ત્રીનું અવસાન વિદેશની ધરતી પર રહસ્યમય રીતે થયું હતું. તે અંગે અનેક વાર સંશોધિત અહેવાલ લખાયા છે અને થોડાં સમય અગાઉ ‘તાશ્કંદ ફાઈલ્સ’ નામની ફિલ્મ પણ આવી હતી. આ ઘટના વિશે પણ ‘ધ ગ્રેટ કૉન્સિલિઅટર’માં એક પ્રકારણ આપવામાં આવ્યું છે. તેમાં લેખક સંજીવ ચોપરા (Sajeev Chopra) લખે છે : “દિવસના અંતે શાસ્ત્રી બેઠકનું આખરી રાતનું ભોજન લઈ રહ્યા હતા. તેમનું સ્વાગત તત્કાલિન અવિભાજ્ય રશિયાના રાષ્ટ્રપતિ એલેક્સી કોઝિયને કર્યું હતું. સૌ કોઈ એકબીજા સાથે હસ્તધૂનન કરી રહ્યા હતા અને અગાઉ કરતાં માહોલ ઉષ્માભર્યો અને ખુશમિજાજભર્યો લાગી રહ્યો હતો. સૌ કોઈ એકબીજાને અભિનંદન પાઠવી રહ્યા હતા. પાકિસ્તાન અને રશિયાના પદાધિકારીઓ સાથે રિસેપ્શન સેન્ટરમાં નેવું મિનિટ સુધી ઉપસ્થિત રહી રાતનું ખાણું લીધા બાદ શાસ્ત્રી જવા માટે નીકળી રહ્યા હતા. તેઓને બીજા દિવસે કાબુલ જવાનું હતું. તે વેળાનો આંનદ શાસ્ત્રીજીએ અયુબ ખાન સાથે હસ્તધૂનન કરતાં વર્ણવ્યો ત્યારે ખાને કહ્યું : ‘ખુદા હાફીઝ’ શાસ્ત્રીએ તરત પ્રતિક્રિયા આપતા કહ્યું : ‘ખુદા હાફિઝ’ અને કહ્યું કે ‘અચ્છા હી હોગા’ તે વાતનો ઉત્તર અયુબ ખાને આપતાં કહ્યું : ‘ખુદા અચ્છા હી કરેગા’. શાસ્ત્રીજીએ જતાં પહેલાં એલેક્સી કોઝિયન સાથે વાત કરી અને આખરે તેઓ કારમાં બેઠા. શ્રીવાસ્તવે નોંધ્યું કે મિશન પૂર્ણ થયાનો સંતોષ તેમને હતો અને કાબુલ થોડું વધુ રોકાણ કરીને તેઓ ભારત પાછા ફરવા માંગતા હતા.” અહીંયા જે શ્રીવાસ્તવ નામ આવે છે તેઓ શાસ્ત્રીજીના જોઈન્ટ સેક્રેટરી હતા.

lal bahadur shastri
lal bahadur shastri

આ ઘટના લેખકે વર્ણવી છે તે હાલના ઉઝબેકિસ્તાન દેશના શહેર તાશ્કંદમાં બનેલી છે. તે દિવસની તારીખ 10 જાન્યુઆરી 1966 હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે 1965માં યુદ્ધ થયું હતું અને તેવી સ્થિતિ ભારત-પાકિસ્તાન વચ્ચે ફરી ઉભી ન થાય તે માટે બંને દેશોએ તાશ્કંદમાં બેઠક યોજી હતી. આ બેઠક યોજવામાં રશિયા અને અમેરિકા સૂચન હતું. રશિયા વતી આ બેઠકમાં એલેક્સી કોસિજીન ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ભારત વતી વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી અને પાકિસ્તાન તરફથી પ્રમુખ મોહમ્મદ અયુબ ખાન હતા.

- Advertisement -

બંને દેશો વચ્ચે જ્યારે સંધિ થઈ ત્યારે ભારત-પાકિસ્તાનમાં સંધિ કરનારા બંને આગેવાનોની ટીકા થઈ રહી હતી. પાકિસ્તાનમાં તત્કાલિન વિરોધ પક્ષના નેતા ઝુલ્ફિકાર અલી ભુટ્ટોએ એવી વાત ચલાવી કે પાકિસ્તાન કાશ્મીરના મુદ્દે સમાધાન કરી લીધું છે અને હવે કાશ્મીર પર હાથ નહીં મૂકી શકાય. તે પ્રમાણે ભારતમાં પણ લાલ બહાદુર શાસ્ત્રી ટીકા થઈ રહી હતી. આ રીતે બંને તરફ ટીકા થઈ રહી હતી.

આ દરમિયાન તાશ્કંદમાં તે દિવસે જે કંઈ થયું તે પુસ્તકમાં આ પ્રમાણે લખ્યું છે : “શાસ્ત્રીજી તેમના નિવાસ પર 10: 15 પહોંચ્યા. શાસ્ત્રીજીએ શ્રીવાસ્તવ સાથે દિવસમાં થયેલી ચર્ચા વિશે પોતાના વિચાર વ્યક્ત કર્યા. તેઓ એ સ્વીકારી ચૂક્યા હતા કે અયુબ ખાનના નેજા હેઠળ ભારત-પાકિસ્તાન સંબંધોનું એક નવું પ્રકરણ લખશે. થોડી જ મિનિટો બાદ, શાસ્ત્રીજીએ કહ્યું : ‘અત્યાર સુધી આપણે મધરાત પછી જ સૂવા ભેગા થતા હતા. આજે વહેલાસર સૂઈ જઈએ. આવતી કાલે સવારે આપણે કાબુલ જઈ રહ્યા છીએ. ત્યાં ઠંડી હશે. ત્યાં તમે પૂરતાં કપડાં લઈ લેજો. તે અંગે શ્રીવાસ્તવે કહ્યું કે, ‘હું તે બાબતની કાળજી લઈશ, પણ તે સિવાય મારી બીજી પણ વ્યસ્તતા છે. ડેલિગેશનના કેટલાંક સભ્યોને મીડિયા તરફથી આવેલા પ્રતિનિધિઓને મળવું છે. જ્યાં મળવાનું છે તે હોટલ અહીંથી થોડાં માઈલ દૂર છે. મારે તેમની સાથે બેસવાનું છે. હું અહીંથી સીધો ત્યાં જઈશ.’ શાસ્ત્રીએ શ્રીવાસ્તવને કાર લઈ જવાનું સૂચન કર્યું, કારણ કે ત્યાં ઠંડી હતી. મને ખબર નથી તમારી માટે જે કારની વ્યવસ્થા કરવામાં આવી છે તે યોગ્ય છે કે કેમ? મને લાગે છે કે તમારે મારા કારમાં જવું જોઈએ. અને કાર ત્યાં જ રહેવા દેજો અને તેમાં જ પાછા ફરજો.” શ્રીવાસ્તવ કહે છે કે ‘તેઓ બહારના દરવાજા સુધી મારી સાથે આવ્યા. તેમના ડ્રાઇવરને સૂચન કર્યું હું તેમની કારમાં જઈ રહ્યો છું. હું ખુબ ખુશ થયો. હું કારમાં બેઠો અને કાર આગળ વધવા માંડી. મેં જોયું કે તેઓ સ્મિત સાથે મને આવજો કહ્યું. જાણે મને આશીર્વાદ આપતા હોય. દુ:ખ સાથે કહેવું પડે છે કે મેં તેમને ત્યારે છેલ્લી વાર જોયા.’

જાણીતાં પત્રકાર કુલદિપ નાયરે શાસ્ત્રીજીના જીવનના છેલ્લા કેટલાક કલાકોનો ઘટનાક્રમ લખ્યો છે. કુલદિપ નાયરના લખાણનો આધાર શાસ્ત્રીજીના સ્ટાફ મેમ્બર્સ તરીકે કાર્ય કરતાં જગન્નાથ સહાઈ અને રામનાથની સાથેનો સંવાદ હતો. શાસ્ત્રીજી સાથે તેમના સ્ટાફની એવી ચર્ચા થઈ હતી કે કાબુલથી પાછા ફરતી વેળાએ શાસ્ત્રીજી અયુબ ખાન સાથે ચા પીવા માટે ઇસ્લામાબાદ જશે કે નહીં. સહાઈ કોઈ પણ રીતે શાસ્ત્રીજી પાકિસ્તાન જાય તેવું ઇચ્છતા નહોતા. આવું કેમ ન કરવું જોઈએ તે માટે સહાઈએ બળવંતરાય મહેતાની ઘટના ટાંકી, જેમાં બળવંતરાયનું વિમાન પાકિસ્તાન એરફોર્સ દ્વારા તોડી પડાયું હતું. પરંતુ શાસ્ત્રીજીએ આ આશંકા નકારી દીધી. તેમણે કહ્યું કે, ‘હવે આપણી વચ્ચે સંધિ થઈ છે અને અયુબ સારાં વ્યક્તિ છે.’ શાસ્ત્રીએ પછી કહ્યું કે તેમની માટે થોડોક નાસ્તો લઈ આવવામાં આવે. આ નાસ્તો તત્કાલિન રાજદૂત કૌલના રસોઈયા જાન મોહમ્મદ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. રસોઈયાએ પાલક અને બટાકાની વાનગી બનાવી હતી. તે વેળાએ જગન્નાથને શાસ્ત્રીજીના એક અન્ય વ્યક્તિગત સચિવ વેન્કટરામનનો ફોન આવ્યો. તેમણે ફોન પર જગન્નાથને કહ્યું કે તાશ્કંદમાં પ્રતિક્રિયા સારી આવી રહી છે. પરંતુ સુરેન્દ્રનાથ દ્વિવેદી અને અટલ બિહારી વાજપેયી આ સંધિની ટીકા કરી રહ્યા છે. ઉપરાંત વિરોધ પક્ષના નેતાઓ આ મુદ્દો ઉઠાવવાની તૈયારી કરી રહ્યા છે.

- Advertisement -

જગન્નાથે શાસ્ત્રીજીને કહ્યું કે તમે પરિવાર સાથે બે દિવસથી વાત કરી નથી, તેથી વાત કરવાની ઇચ્છા હશે. તાશ્કંદના રાતના 11 વાગે રાતરે ભારત ફોન લગાવ્યો ત્યારે જમાઈ વી. એન. સિંઘે તેમની સાથે સામાન્ય વાતો કરી. પરંતુ શાસ્ત્રીજીને પ્રિય દીકરીએ પિતાને કહ્યું : ‘બાબુજી, હમે અચ્છા નહીં લગતા’. આ વાતને લઈને શાસ્ત્રીજી વિચારે ચઢ્યા કે, ઘરના લોકોને જો સારું લાગતું નથી બહારના શું કહેશે? શાસ્ત્રીજીએ તેમનાં જીવનસાથીને ફોન આપવા જણાવ્યું. પરંતુ કોઈ કારણસર તેઓ ફોન પર આવી ન શક્યાં. તે પછી શાસ્ત્રીજીએ થોડા કાગળો માંગ્યા, જે તેમને કાબુલ લઈ જવાના હતા. કાબુલથી તેમને ઇન્ડિયન એર ફોર્સનું વિમાન લેવા આવવાનું હતું.

નાયર મુજબ, જગન્નાથે નોંધ્યું હતું કે ટેલિફોન કોલથી શાસ્ત્રીજી થોડાં નિરાશ થયા હતા. મીડિયા તેમની ટીકા કરી રહ્યું હતું. તેઓ પોતાના ખંડમાં અસંમજંસમાં દેખાતા હતા. આ કંઈ અસામાન્ય ઘટના નહોતી. દિલ્હીમાં સામાન્ય રીતે જ્યારે તેમને કોઈ મળવા આવે ત્યારે ઘણી વાર શાસ્ત્રીજીની મુદ્રા આવી રહેતી. જેઓને અગાઉથી બે હૃદયના હુમલા આવી ચૂક્યા હોય, તેમને ટેલિફોનનો સંવાદ અને મીડિયાના વલણથી રાતે ચોક્કસ ચિંતા થઈ હોય. રામનાથે તેમને દૂધ આપ્યું, જે સામાન્ય રીતે ઉંઘતા પહેલાં પીતા હતા. થોડી વાર પછી તેમણે પાણી માંગ્યું, જે તેમણે થર્મોસમાંથી કાઢી આપ્યું. અડધી રાત પહેલાં શાસ્ત્રીજીએ રામનાથને કહ્યું કે હવે તેઓ રૂમમાંથી જાય, કારણ કે સવારે વહેલાં ઉઠીને કાબુલ જવાનું છે. રામનાથે તેમના જ રૂમમાં નીચે સૂઈ જવાનો પ્રસ્તાવ મૂક્યો, પરંતુ તેમણે પોતાના રૂમમાં જઈને સૂવાનો આગ્રહ રાખ્યો.

રાતના 1:20 વાગે જગન્નાથ અને રામનાથ પોતાનો સામાન પેક કરી રહ્યા હતા. તાશ્કંદના આ સમયે તેમણે જોયું કે શાસ્ત્રી દરવાજે ઉભા છે અને તેઓ પોતાના ફિજિશિયન ડો. ચુઘની વાટ જોઈ રહ્યા છે. તેમને ભયંકર ઉધરસ આવી રહી હતી. તેઓ શાસ્ત્રીજીને પલંગ સુધી લઈ ગયા. જગન્નાથે તેમને થોડું પાણી આપ્યું. શાસ્ત્રીજી ત્યારે પોતાના છાતીને અડ્યા અને નીચે ફસડાઈ પડ્યા. જ્યારે ડો. ચુઘે તેમના જોયા, પલ્સ જોઈ ત્યારે તેઓ પોક મૂકીને રડ્યા : ‘બાબુજી, તમે મને સમય ન આપ્યો.’ તેમણે શાસ્ત્રીજીને હાથ પર ઇન્જેક્શન આપ્યું, સીરીંજ સીધી તેમના હૃદયમાં ઉતારી. ફરી શ્વાસોશ્વાસ ક્રિયા શરૂ થાય તે મોઢાથી શ્વાસ આપ્યાના પ્રયાસ કર્યા. જગન્નાથને વધુ મેડિકલ હેલ્પ માટે કહ્યું. પરંતુ દસ મિનિટમાં શાસ્ત્રીજી આ દુનિયામાંથી વિદાય લઈ ચૂક્યા હતા.

- Advertisement -

પુસ્તકમાં આ પ્રકરણ સાથે શાસ્ત્રીજી અને તે દરમિયાનના દેશની ઘટનાઓનું વિવરણ પણ થયું છે. ઇતિહાસની ઘટનાઓને સમયાંતરે જાણવી-સમજવી જોઈએ. આ પુસ્તક તે માટે ઉપયોગી છે.

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular