નવજીવન ન્યૂઝ.સુરતઃ સુરત શહેરમાં પારિવારિક ઝઘડાના કારણે એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં માતાએ પોતાની બે નાની દીકરીને ઝેર પીવડાવી પોતે પણ જીવન અંત કર્યો. આ ઘટના ડભોલી ગામ વિસ્તારમાં 15 એપ્રિલે બની હતી.
મળતી માહિતી મુજબ, મૂળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તરેડ ગામના વતની જયસુખભાઈ પટેલિયા હાલ સુરતના ડભોલી વિસ્તારમાં રહે છે અને હીરાના કારખાનામાં કામ કરે છે. તેમની 35 વર્ષીય પત્ની મિતલબેન અને બે દીકરીઓ — 6 વર્ષની વેનિશા અને 5 વર્ષની આરવી સાથે રહેતા હતા.
ઘટનાના દિવસે, જયસુખભાઈ બપોરે ઘરે જમવા આવ્યા હતા અને પરિવાર સાથે ભોજન કર્યા બાદ પરત કામ પર ગયા હતા. ત્યારબાદ મિતલબેને ઘરમાં અનાજમાં નાખવામાં આવતી ઝેરી દવા પાણીમાં ભેળવી બંને દીકરીઓને પીવડાવી અને પછી પોતે પણ તે દવા પી લીધી.
પછી મિતલબેને પતિને ફોન કરીને જણાવ્યું કે “મારે હવે જીવવું નથી, મેં ઝેર પી લીધું છે.” આ વાત સાંભળતા જ પરિવારજનો તાત્કાલિક ઘરે દોડી આવ્યા અને 108 એમ્બ્યુલન્સ મારફતે ત્રણેયને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.
હોસ્પિટલમાં સારવાર દરમિયાન મિતલબેનનું મોત નીપજ્યું હતું, જ્યારે બંને દીકરીઓને પીઆઇસીયુમાં દાખલ કરવામાં આવી છે અને તેમની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
પરિવારજનોના જણાવ્યા મુજબ, મિતલબેન સાથે ઘરમાં નાની-મોટી બાબતો, ખાસ કરીને રસોઈ અને ઘરકામને લઈને વારંવાર ઝઘડા થતા હતા. આ તણાવથી કંટાળી મિતલબેને આ પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઘટનાની જાણ થતાં વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સિંગણપોર પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.








