નવજીનવ ન્યૂઝ. રાજપીપળા: ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) ના બંને તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. ત્યારે ઉમેદવારોએ રાહતનો શ્વાસ લેવાના બદલે ઈવીએમને લઈ ચિંતા સતાવતી હોય તેવી ઘટના સામે આવી છે. રાજકોટમાં ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ સ્ટ્રોંગરૂમ બહાર જીપ પર કેમેરા ગોઠવ્યાના અહેવાલ બાદ, રાજપીપળામાં પણ ઉમેદવારે મંડપ લગાવી કેમેરા ગોઠવ્યાના સમાચાર સામે આવ્યા છે. અપક્ષ ઉમેદવારે સ્ટ્રોંગ રૂમ પર નજર રાખવા માટે આ પ્રકારે વ્યવસ્થા કરતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે.
નર્મદા જિલ્લાની નાંદોદ વિધાનસભા બેઠક પર ભાજપના પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ વસાવાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી ચૂંટણી લડી છે. પરંતુ વાત ત્યારે ચર્ચામાં આવી જ્યારે હર્ષદભાઈએ ઈવીએમ પર નજર રાખવા સ્ટ્રોંગ રૂમ બહાર ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે. તેમણે છોટુભાઈ પુરાણી વ્યાયામ શાળાના પરિસરમાં બનેલા સ્ટ્રોંગ રૂમ પર નજર રાખવા માટે બહાર મંડપ લગાવી ધામા નાખ્યા છે. એટલું જ નહીં પણ તેમણે સીસીટીવી કેમેરા પણ લગાવી દીધા છે અને ટેકેદારો સાથે હાલ સ્ટ્રોંગ રૂમ બહાર પહેરો ભરી રહ્યા છે.

આ પ્રકારે ઈવીએમના સ્ટ્રોંગ રૂમ બહાર સીસીટીવી કેમેરા સહિતની છાવણી નાખતા લોકોમાં તર્ક વિતર્ક શરૂ થયા છે. વળી નર્મદા જિલ્લામાં પ્રથમ વખત આ પ્રકારે કોઈ ઉમેદવારે સ્ટ્રોંગ રૂમ બહાર પહેરો ગોઠવ્યો હોય લોકોમાં કુતુહલ પણ જોવા મળે છે. જ્યારે કેટલાક લોકોનું કહેવું છે કે આ પહેરો જરૂરી છે અને ઈવીએમમાં ધાંધલી થાય તેવી સંભાવના રહે છે.
આ મામલે અપક્ષ ઉમેદવાર હર્ષદભાઈ કહે છે કે, તેઓ 25 હજાર કરતા વધારે મતની લીડથી ચૂંટણી જીતી રહ્યા છે. ત્યરાે કોઈના દબાણમાં આવી ઈવીએમમાં ચેડા થાય તેવો ડર હોય માટે અમે આ પ્રકારે સ્ટ્રોંગ રૂમ બહાર પહેરો ભરી રહ્યાં છીએ.
ઉલ્લેખનીય છે કે, આ જ પ્રકારે રાજકોટની 68 નંબરની બેઠકના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ પણ સ્ટ્રોંગ રૂમ બહાર જીપમાં કેમેરા ફીટ કરી ચાંપતી નજર રાખવાની વ્યવસ્થા કરી છે. કારણ કે તેમને પણ સ્ટ્રોંગ રૂમમાં રહેલા ઈવીએમ મશીન સાથે ચેડા થાય તેવી સંભાવના જણાય છે. આમ ચૂંટણી પંચે અનેક વખત ઈવીએમ સાથે ચેડા ન થાય તેવી માહિતી આપી હોવા છતાં પણ ક્યાંકને ક્યાંક ઉમેદવારો અને કેટલાક લોકોના મનની શંકા યથાવત છે.
(માહિતી: ઈકરામ મલેક. નર્મદા)
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








