નવજીવન ન્યૂઝ.રાજકોટઃ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ઓનલાઈન સટ્ટાના કેસમાં બે આરોપીની ધરપકડ કરી, જેમાં આરોપીઓમાં લોધીકા સંઘના મહેશ આસોદરીયા સહિત અન્ય બે શખ્સો હતા જેમના દ્વારા ઓનલાઈન આઈ.ડી. આપવામાં આવ્યાનું ખુલ્યું હતુ. રા.લો. સંઘમાં જિલ્લા બેંકના પ્રતિનિધિ મહેશ આસોદરીયા ભાજપના કેટલાક નેતાઓ અને પૂર્વ મંત્રી જયેશ રાદડિયાની નજીકના હોવાથી આ મામલાને લઈ સ્થાનિક રાજકારણ ગરમાયું છે.
જોકે નવજીવન ન્યૂઝ દ્વારા સર્વપ્રથમ જાહેર કરાયેલા મહેશ આસોદરીયાના આ કેસ મામલે પોલીસે પહેલા તો બહાના બાજી સામે આવી હતી, આ મામલો નોંધાયાના કલાકો વિતવા છતાં મહેશ આસોદરીયા કોણ તે મામલે સ્પષ્ટતા પોલીસ કરી જ રહી ન હતી. પરંતુ મહેશ આસોદરીયા મામલે નવજીવન ન્યૂઝના અહેવાલ મારફતે ઘટસ્ફોટ કરવામાં આવતા રાજકારણ અને પોલીસ દોડતા થઈ ગયા હતા. બળતામાં ઘી હોમાવાની તક પણ જતી કોણ કરે બસ તેવી જ રીતે સહકારી ક્ષેત્રે રાદડિયા પર ભ્રષ્ટાચારના આક્ષેપ કરનાર હરિફ જૂથ પણ મેદાને આવી ગયું, હવે ભાજપ પર દબાણ કરાયું હતું અને આખરે મહેશ આસોદરીયાના રાજીનામાની માંગ ઉઠી હતી.
ત્યારે આજરોજ રાજકોટ જિલ્લા ભાજપના મનસુખ ખાચરીયાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં જ મહેશ આસોદરીયાને જિલ્લા બેંક દ્વારા રા. લો. સંઘમાં ડિરિકેટર તરીકે મુકવામાં આવ્યા. જેમાં ભાજપની કોઈ ભૂમિકા નથી અને આવી ગેરકાયદે પ્રવૃતિ તથા સટ્ટા સાથે જોડાયેલા હોવાની ફરિયાદ થતા પ્રદેશ ભાજપનું માર્ગદર્શન માગ્યું હતું. જેમાં સ્પષ્ટ સૂચના મળી હતી કે મહેશ આસોદરીયાનું રાજીનામુ લઈ લેવું જોઈએ, જેથી આજકાલની અંદર રાજીનામુ લઈ લેવામાં આવશે તે નક્કી. તેમને આ મામલે સૂચના આપી દેવામાં આવી છે અને તે મુજબ આસોદરીયા રાજીનામું મોકલી આપશે.








