નવજીવન ન્યૂઝ. રાજકોટ: દારૂબંધીના કાયદા વાળા ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો અનેક પ્રકારના કીમિયા અજમાવતા રહે છે. પરંતુ પોલીસ આવા કીમિયાઓને ચાંપતી નજર રાખી નિષ્ફળ બનાવી દેતી હોય છે. ત્યારે રાજકોટમાં આવો જ એક બુટલેગરનો કીમિયો રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે નિષ્ફળ બનાવ્યો છે. જેમાં શાકભાજીની આડમાં દારૂ લાવવાનો કારસો ઝડપાયો છે.
મળતી માહિતી મુજબ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે શહેરમાં શાકભાજીની આડમાં દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે. માહિતી મળતા જ ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાજકોટ-મોરબી હાઈવે નજીક બેડી ગામ પાસે આવેલા લાલપરી નદીના બ્રીજ પાસે વોચ ગોઠવી દેવામાં આવી હતી. દરમિયાન એક માલવાહક વાહન અશોક લેલન્ડમાં શાકભાજી ભરેલું મળી આવ્યું હતું. પોલીસે શંકા જતા વાહનનું ચેકિંગ કરતા વાહનમાંથી શાકભાજીમાંથી દારૂ મળી આવ્યો હતો.

પોલીસને શાકભાજી સાથે 2064 180 એમએલની બોટલ મળી આવી હતી. પોલીસે મળી આવેલો દારૂ તેમજ અશોક લેલન્ડ વાહન સહિતની કુલ રૂપિયા 5 લાખ કરતા વધારેની રકમ કબ્જે કરી છે. આ દારૂ ઘુસાડવાના મામલે બે શખ્સ હજરતઅલી ઈકબાલ શેખ અને સુભાનઅલી સાબીરઅલી શેખની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીમાં રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. વાય.બી. જાડેજા, પી.એસ.આઈ. કે.ડી. પટેલ સહિતની ટીમ જોડાઈ હતી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








