Ahmedabad Jagannath Rath Yatra 2026 : અમદાવાદમાં વર્ષોથી પરંપરાગત રૂટ પર નીકળતી ભગવાન જગન્નાથજીની યાત્રાની સૌથી મોટી જવાબદારી અમદાવાદ ક્રાઈમ બ્રાંચના શિરે રહે છે. રથયાત્રા બંદોબસ્તમાં મોટી સંખ્યામાં આવેલા પોલીસ અધિકારી-કર્મચારીઓને A to Z માહિતી ફોન કોલ પરથી મળી જશે. બંદોબસ્તમાં ક્યાં તૈનાત થવાનું તેમજ રિપોર્ટિંગ ઓફિસર કોણ છે અને રહેવા-જમવાની વ્યવસ્થા જેવી બાબતોનો જવાબ ક્રાઈમ બ્રાંચે નવી વિકસાવેલી વોઈસ AI સિસ્ટમમાં (Crime Branch adopts AI system in Ahmedabad Rath Yatra) મળી જશે. આ સિસ્ટમના કારણે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ભારે રાહત અનુભવી છે.
આગામી 16 જુલાઈ એટલે કે, અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી અમદાવાદમાં નગરચર્ચાએ નીકળશે. રથયાત્રાના પરંપરાગત રૂટ પર ભારે સંખ્યામાં ભક્તો આવતા હોવાથી ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. અમદાવાદ ઉપરાંત રાજ્યભરમાંથી પોલીસ અધિકારી અને જવાનો સુરક્ષા વ્યવસ્થા માટે તૈનાત કરવામાં આવે છે. બહારગામથી આવતા અધિકારી-જવાનોને બંદોબસ્તની નોકરી વહેંચણી, રહેવા-જમવાની વ્યવસ્થા તેમજ અન્ય કોના તાબામાં નોકરી રહેશે તેની જાણકારી આપવા માટે અગાઉ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ (Ahmedabad Crime Branch) અધિકારીઓ મૌખિક સૂચનાઓ આપતા હતા.
આ વર્ષે રથયાત્રામાં ફરજ બજાવતા દરેક પોલીસકર્મીની વિગતો, તેમનો મોબાઈલ નંબર, નામ, રહેવા-જમવાની અને તેમની ફરજની તથા તેમના ઇન્ચાર્જ સહિતની તમામ માહિતી AI સિસ્ટમમાં અપલોડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા અપાયેલા ફોન નંબર પર કોઈ અધિકારી ડાયલ કરે ત્યારે રજિસ્ટર્ડ નંબર પરથી AI તેને તરત જ નામ બોલીને ફોન કરનારને “જય જગન્નાથ” (Jay Jagannath) કહે છે. ફોન કરનારાના સવાલો જેમ કે, રહેવાની વ્યવસ્થા ક્યાં છે?, ક્યાં જમવાનું છે? અથવા મારા ઇન્ચાર્જ કોણ છે? આ તમામ પ્રશ્નોના સચોટ જવાબ આપે છે.








